શંકરસિંહ વાઘેલાના સમર્થકોએ બનાવ્યો ત્રીજો મોરચો, જાણો શું રાખ્યું નામ? શંકરસિંહે શું કહ્યું?
જોકે વાઘેલાએ હજુ સુધી આ ગ્રુપ સાથે પોતાને પ્રોજેકટ કર્યા નથી. તેમણે કહ્યું કે, 'સમાજના જુદા જુદા વર્ગોના પ્રતિનિધિઓ મારી પાસે આવ્યા હતા. તેમણે આ મોરચો લોન્ચ કર્યો છે. જો તેઓ કહેશે તો હું આગેવાની લઈશ.' આ મોરચો એકિટવિસ્ટ અને ઇન્ટેલેકચ્યુઅલ લોકોએ બનાવ્યો છે.
રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને ભૂતપૂર્વ વિરોધ પક્ષ નેતા શંકરસિંહ વાઘેલાના સમર્થકો કે જેમણે હાલમાં જ તેમની સાથે કોંગ્રેસ છોડી છે તેમણે ‘જન વિકલ્પ’ નામે ત્રીજો મોરચો ખોલ્યો છે.
અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની આગામી ડિસેમ્બરમાં આવી રહેલી ચૂંટણી માટેની તૈયારીઓ અમદાવાદની સડકો પર દેખાવા લાગી છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ એક બીજાને નીચા દર્શાવી પોતાની છબી મજબૂત રીતે ઉપસાવવા પ્રતિબદ્ધ છે. આ વચ્ચે, એક નવું પરિમાણ ગુજરાતની રાજનીતિમાં ઉભરતું દર્શાઈ રહ્યું છે અને એ છે જનવિકલ્પ.
સમગ્ર શહેરમાં શંકરસિંહ પ્રેરિત આ ત્રીજા મોરચાના પોસ્ટર્સ અને બેનરો લાગ્યા છે. તેમજ લોકોને ભાજપ-કોંગ્રેસના વિકલ્પ તરીકે નવા વિકલ્પ સાથે જોડાવા માટે અપીલ કરતા આ બેનરમાં લોકોને સાથે જોડાવા માટે http:www.janvikalp.in અથવા મોબાઈલ નંબર ૭૮૭૮૭૮૯૮૦૦ પર મિસકોલ આપી પોતાને રજિસ્ટર કરાવા અપીલ કરી છે.
જન વિકલ્પની વેબસાઇટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા ૭૦ વર્ષમાં ભાજપ અને કોંગ્રેસે ફકત 'અત્યાચાર, શોષણ, ગરીબી, ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સીવાય કંઈ આપ્યું નથી.' આ કેમ્પેઇનમાં તેમણે GSTના કારણે ઇન્ડસ્ટ્રી અને ટ્રેડર્સને પડતી મુશ્કેલીનો પણ અંત લાવવાનું વચન આપ્યું છે. તેમજ મોંઘી શીક્ષણ અને આરોગ્ય સેવામાંથી મુકતીનો પણ વાયદો કર્યો છે.