પાલનપુર: ચાલુ બસે ડ્રાઈવરને હાર્ટઅટેક આવતા મોત, જાણો કઈ રીતે બચાવ્યા મુસાફરોના જીવ
પાલનપુર: મંગળવારે સવારે બનાસકાંઠાના પાલનપુરના મેરવાડા નજીક એક એસ.ટી બસના ડ્રાયવરને ચાલુ બસે હાર્ટ અટેક આવતાં ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું. જ્યારે ડ્રાઈવરની સમય સુચકતાથી 20 જેટલા મુસાફરોનો બચાવ થયો હતો. આ અકસ્માત સર્જાતા આસપાસના લોકો દોડી આવ્યા હતાં. આ બસ પાલનપુરથી મહેસાણા તરફ જઈ રહી હતી.
મંગળવારે પાલનપુરથી મહેસાણા તરફ જઇ રહેલી બસના ડ્રાઈવર મહમદ યાયાખાન બહેલીમને મેરવાડા નજીક હાર્ટ અટેક આવતા તે બસના દરવાજા તરફ ઢળી પડ્યા હતા. જેથી દરવાજો ખુલી ગયો હતો. ડ્રાઈવર નીચે પટકાતા તેમના માથા ઉપરથી બસનું ટાયર ફરી વળ્યું હતું જેના કારણે ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જોકે ડ્રાઈવરે પડતા પહેલા સમય સુચકતા વાપરી બસને નજીકના ખાડામાં ઉતારી દીધી હતી. જેથી બસમાં બેઠેલા વીસ ઉપરાંતના મુસાફરોનો બચાવ થયો હતો.
આ અંગે બસના કંડક્ટર અમીતભાઇ મનસુરીએ પાલનપુર ડેપો મેનેજર તેમજ પોલીસને જાણ કરી હતી. પોલીસ અને અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવી મુસાફરોને સલામત સ્થળે ખસેડ્યા હતા. ડ્રાઈવરના મૃતદેહને પાલનપુર સિવિલમાં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવામાં આવ્યો હતો.