હિંમતનગર: ધોરણ 12ની પરીક્ષાના આગલા જ દિવસે વિદ્યાર્થીએ કર્યો આપઘાત, પછી શું થયું
હિત શાહ ગ્લોરિયસ સ્કૂલનો સ્કોલર વિદ્યાર્થી હતો. રવિવારની દુ:ખદ ઘટના બાદ સોમવારે શાળામાં અભ્યાસ કાર્ય મુલત્વી રાખી શ્રધ્ધાંજલી અપાઇ હતી.
બોર્ડની પરીક્ષા સહિત શાળાકીય ઈન્ટરનલ પરીક્ષામાં 90 ટકાથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને પરીક્ષાનો ખોફ હોય તે કોઈ માનવા તૈયાર નથી. ચર્ચા મુજબ, ડોનેશન પદ્ધતિથી એડમિશન આપવાની જોગવાઈએ સ્કોલર વિદ્યાર્થીનો ભોગ લીધો છે.
મોતને વ્હાલું કરનારો હિત શાહ અભ્યાસમાં તેજસ્વી હતો. ધો.10માં 93 ટકા લાવ્યો હતો અને મેથ્સ વિષય રાખી એન્જિનિયરિંગમાં કારકિર્દી બનાવવા માગતો હતો. ધો.12ની છેલ્લી ઈન્ટરનલ પરીક્ષામાં પણ 92 ટકા મેળવી તેજસ્વી દેખાવ કર્યો હતો. આ ઘટનાથી તેને કોચિંગ આપનારા શિક્ષકો પણ આઘાતમાં સરી પડ્યા હતાં. ત્રણ વર્ષથી સતત 90 ટકા ઉપર માર્કસ લાવતો વિદ્યાર્થી પરીક્ષાથી ક્યારેય ન ડરે પણ આ ઘટનાએ સૌને વિચારતા કરી મૂક્યા છે.
આ ઘટના અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી કે હિત ગૌરાંગભાઇ શાહે સોમવારે પરીક્ષા હોઈ તેના ટેન્શનને કારણે તેના ઘરે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું છે. પીએસઆઇ પી.એચ.સીસોદિયાએ જણાવ્યું હતું કે, તપાસ કરતાં સ્યુસાઈડ નોટ જેવું કંઈ મળ્યું નથી. સોમવારથી શરૂ થઈ રહેલી બોર્ડની પરીક્ષાની ચિંતાને લઈને આ ઘટના બની છે. ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.
હિંમતનગરના મહાવીરનગર સ્થિત શ્રીનાથ સોસાયટીમાં રહેતા ગૌરાંગભાઇ શાહ અને તેમનાં પત્ની રવિવારે સાંજે દર્શન કરવા ગયા હતા અને તેમનો પુત્ર હિત ધો.12ની બોર્ડની પરીક્ષા હોઈ વાંચતો હતો. રાત્રે 8-30 વાગે બંને ઘરે પરત આવ્યા ત્યારે તેમના એકના એક પુત્રને તેના રૂમમાં પંખા સાથે દુપટ્ટો બાંધી લટકી ગયેલી હાલતમાં જોઈ માતા-પિતા હેબતાઇ ગયા હતા.
હિંમતનગર: છેલ્લા ત્રણ વર્ષથી બોર્ડ અને હાઈસ્કૂલની ઇન્ટરનલ પરીક્ષાઓમાં 90 ટકાથી વધુ ગુણ લાવનારા હિંમતનગરની ગ્લોરિયસ સ્કૂલના હોશિયાર વિદ્યાર્થી હિત શાહે રવિવારે રાત્રે તેના મહાવીરનગર સ્થિત શ્રીનાથ સોસાયટીમાં આપઘાત કરતાં ચકચાર મચી ગઈ હતી. સોમવારથી શરૂ થતી ધો.12ની પરીક્ષાના એક દિવસ પહેલાં બનેલી આ ઘટનાથી શિક્ષણ જગતમાં સન્નાટો ફેલાઈ ગયો હતો.