'મોદીજી, તમારા રાજમાં બહેન-દીકરીઓ સલામત નથી, તમને ભાઈ કહેવા યોગ્યા નથી, મારી રાખડી પાછી મોકલો'
પીડિતાને ન્યાય માટે ઠાકોર સેના અને ઓબીસી એસસસી એસટી એકતા મંચ દ્વારા જિલ્લા પોલીસવડાને રજૂઆત પણ કરવામાં આવી હતી. જ્યારે પીડિતાની માતાએ વડાપ્રધાન મોદીને પોસ્ટકાર્ડ લખ્યું હતું. જેમાં જણાવ્યું હતુ કે, જ્યારે તમે કહ્યું હતુ કે, મારી કોઇ બહેનને તકલીફ હોય તો મને પોસ્ટકાર્ડ લખજો હું તમારો વીરો બેઠો છું. પરંતુ હે વીરા તમે તો દિલ્લીમાં જઇને રાજા બની ગયા. અહીં હું તમારી બહેન તમને રાખડી મોકલી હતી.
પાલનપુરઃ થરાદ તાલુકાના નાગલાની દુષ્કર્મ પીડિતાની માતાએ બળાત્કારના 20 દિવસ પછી પણ આરોપીઓ સામે કોઈ કાર્યવાહી ન થતાં ગઈ કાલે સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે અને જ્યારે પણ કોઇ બહેનને તકલીફ પડે મને પોસ્ટકાર્ડ લખજો, તેમ કહેનારા વડાપ્રધાન પાસેથી રાખડી પરત મગાવી છે.
તેમણે પત્રમાં લખ્યું છે કે, મારી દીકરી પર બળાત્કાર થયો છે. 20 દિવસ થઇ ગયા છતાં પિશાચી નરાધમ આરોપીઓની ધરપકડ થતી નથી. સરકારના ભ્રષ્ટચારી નેતા અને સરકારી અધિકારીઓ આરોપીઓને છાવરી રહ્યા છે. તમે મારી અને દીકરીની રક્ષા કરવામાં ઉણા ઉતર્યા છો. તમારા રાજમાં બહેન દીકરીઓ સલામત નથી. આથી તમને ભાઇ કહેવો યોગ્ય નથી. આથી મારી મોકલેલી રાખડીનો ધાગો મને પરત મોકલશો.
તેમણે પત્રમાં લખ્યું છે કે, 48 કલાકમાં ન્યાય મળે નહી તો મારી રક્ષા કવચ રાખડી પરત કરો. મારા રખોપા મારા રામ કરશે. ઓબીસી, એસસી, એસટી એકતામંચે આ ઘટનાને વખોડી કાઢતા જણાવ્યું હતુ કે, ભાજપના સાંસદ અને હાલના કેબિનેટ મંત્રી ઉમા ભારતી અન્ય રાજ્યોમાં બળાત્કારીઓની ચામડી ઉતારવાની વાતો કરે છે. જ્યાં તેમની સરકાર નથી. તો ગુજરાતમાં તો ભાજપની સરકાર છે. તો ઓએસએસ આવા નરાધમોના ચામડા ઉતારવા માટે તેમને આમંત્રણ આપે છે.