જીએમડીસી ગ્રાઉન્ડ પર વિશ્વ હિન્દુ પરિષદનું આજે સંમેલન
જીએમડીસી ગ્રાઉન્ડમાં 1500 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે. જેમાં ઝોન-1 અને 7માં આવતા પોલીસ સ્ટેશનોના 800 પોલીસકર્મચારીઓ, એસઆરપી, ક્યુઆરટી સુરક્ષાના ભાગ રૂપે જવાબદારી સંભાળશે.
અમદાવાદ: આજે એટલે કે રવિવારે અમદાવાદ0 ખાતે વિશ્વ હિંદુ પરિષદે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે હિન્દુ સંમેલનનું આયોજન કર્યું છે. વીએચપી અધ્યક્ષ પ્રવીણ તોગડિયા, સંયુકત મહામંત્રી સુરેન્દ્ર જૈન, બજરંગદળ પ્રમુખ મનોજ વર્મા, વડતાલ મંદિરના નૌતમસ્વામી જેવા અગ્રણીઓ સંમેલનને સંબોધશે.
સંમેલનનો ઉદ્દેશ્ય હિન્દુઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાનો છે. શહેરમાંથી બાઇક રેલી દ્વારા યુવાનો સંમેલનમાં આવશે. ઘાટલોડિયા પ્રભાતચોકથી બાઇક રેલી યોજાશે. તેમાં 1 હજારથી વધુ વાહનો લઇને યુવાનો જોડાશે. સંમેલનને સફળ બનાવવા માટે વીએચપીના 500થી વધુ કાર્યકર્તાઓ કામ કરી રહ્યા છે. કાર્યક્રમની શરૂઆતમાં માયા આહિર અને હેમંત ચૌહાણ ભજન-સંતવાણી રજૂ કરશે. 50 હજારથી વધુ લોકો સંમેલનમાં આવવાની શક્યતા છે.
સભાના એક દિવસ પહેલાં સભાસ્થળની આસપાસ તોગડિયાનો વિરોધ કરતાં પોસ્ટરો અને બેનરો લાગ્યાં હતા. આ મુદ્દે પાટીદાર અનામત આંદોલન સમિતિના સંયોજક હાર્દિક પટેલે જણાવ્યું છે કે, આ પોસ્ટરો પાસ દ્વારા લગાવાયા નથી. તેની પાછળ ભાજપનો હાથ છે તેમજ વર્ગવિગ્રહ કરવા માટેની ભાજપની ચાલ છે. અમે ભાજપને માપમાં રહેવાની સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ. શુક્રવારે પાસના આગેવાનોએ તોગડિયાને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા.