મહિલાના ગુપ્ત ભાગે જોવા મળ્યા ઇજાના નિશાન, દફનવિધિ રોકાવી બોલાવાઇ પોલીસ
પાલનપુરઃ બનાસકાંઠાના પાલનપુરના મલાણા ગામની એક પરિણીતાએ પોતાના મકાનના બીજા માળના રૂમમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ હતી. મૃતક આંગણવાડીમાં કાર્યકર તરીકે ફરજ પણ બજાવતી હતી. મૃતદેહના દફન દરમિયાન પરિણીતાના શરીર ઉપર ઇજાના નિશાન જોતા પિયર પક્ષે હત્યા થઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
બાદમાં સંજનાના મૃતદેહને દફન કરવા માટે મલાણા ગામ લાવવામાં આવ્યો હતો. મૃતકના મોટાભાઇ મુકેશ શ્રીમાળીએ આરોપ લગાવ્યો હતો કે મારી બહેને આત્મહત્યા નથી કરી અંતિમવિધિ સમયે મારી બહેનને સમાજની બહેનો સ્નાન કરાવતી હતી તે સમયે શરીરના ભાગે અને ગુપ્તભાગે ઇજાના નિશાન જોયા હતા. જેથી મારી બહેનની હત્યા કરાઇ હોવાની શંકા છે. દફનવિધિ કર્યા પહેલા પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ મલાણા ગામ આવી પંચનામું કરી મૃતદેહને પીએમ માટે પાલનપુર સિવિલમાં લવાયો છે.
મળતી વિગતો અનુસાર, કુંભાસણ ગામના વતની અને પાલનપુર સુરમંદિર પાછળ આવેલા ભીમરાવ સોસાયટીમાં રહેતા નરોતમભાઇ રામજીભાઇ શ્રીમાળીની પુત્રી સંજના ઉર્ફે દુર્ગાના લગ્ન ચાર વર્ષ અગાઉ મલાણા ગામે રહેતા વસરામભાઇ શ્રીમાળીના પુત્ર સતીષ સાથે થયા હતા. સંજનાએ આંગણવાડીથી ઘરે આવી પોતાના મકાનના બીજા માળે છતની એંગલ સાથે સાડી બાંધી ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.