Liver Cancer: એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે કોલેસ્ટ્રોલ ઘટાડતી કેટલીક નોન સ્ટેટિન દવાઓ લિવર કેન્સરનું જોખમ ઘટાડી શકે છે. કેન્સર નામની પત્રિકામાં ઓનલાઇન પ્રકાશિત થયેલા આ અભ્યાસમાં સ્ટેટિન પર અગાઉના સંશોધનમાંથી મળેલા પુરાવાઓ ઉપરાંત આ દવાઓની સંભવિત સુરક્ષાત્મક અસરો વિશે જણાવવામાં આવ્યું છે. મેરીલેન્ડ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવેલા આ અભ્યાસમાં પાંચ પ્રકારની નોન સ્ટેટિન કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે, જેમાં ફાઇબ્રેટ્સ, નિયાસિન અને ઓમેગા 3 ફેટી એસિડ્સનો સમાવેશ થાય છે. આ બધી દવાઓ સામાન્ય રીતે કોલેસ્ટ્રોલ અને લિપિડના સ્તરને નિયંત્રિત કરવા માટે વપરાય છે.


આ બધી દવાઓ શરીરમાં અલગ અલગ રીતે કામ કરે છે. સંશોધકોએ 3,719 લિવર કેન્સરના કેસો અને 14,876 કેન્સર વગરના કેસોનો અભ્યાસમાં સમાવેશ કર્યો. અભ્યાસમાં ટાઇપ 2 ડાયાબિટીસ સાથે ક્રોનિક લિવર રોગોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરિણામોમાં જોવા મળ્યું કે કોલેસ્ટ્રોલ ઘટાડતી દવાઓથી લિવર કેન્સરનું જોખમ 31 ટકા ઘટ્યું. આ ઉપરાંત, ડાયાબિટીસ અને લિવરના રોગો પર પણ તેની સમાન અસર જોવા મળી.


અગાઉના તારણોની જેમ જ આ અભ્યાસમાં પણ પુષ્ટિ થઈ કે સ્ટેટિનથી લિવર કેન્સરનું જોખમ 35 ટકા ઘટ્યું છે. જોકે, લિવર કેન્સરના જોખમ અને ફાઇબ્રેટ્સ, ઓમેગા 3 ફેટી એસિડ્સ કે નિયાસિનના ઉપયોગ વચ્ચે કોઈ નોંધપાત્ર સંબંધ જોવા મળ્યો નહીં.


સમગ્ર અભ્યાસમાં પિત્ત એસિડ સિક્વેસ્ટ્રન્ટ્સનો ઉપયોગ લિવર કેન્સરના વધતા જોખમ સાથે સંકળાયેલો હતો, જોકે ડાયાબિટીસ અને લિવર રોગની સ્થિતિના આંકડાઓને અલગ કરવાથી ડેટામાંથી કોઈ ચોક્કસ નિષ્કર્ષ પર પહોંચવું શક્ય ન હતું. સંશોધકોએ આ અભ્યાસ બાદ સંભવિત જોખમોને સ્પષ્ટ કરવા માટે વધુ અભ્યાસોની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ અભ્યાસ કોલેસ્ટ્રોલ ઘટાડવા અને લિવર કેન્સરની રોકથામ માટેના ઉપાયોમાં એક નવો આયામ ઉમેરે છે, જે આ ક્ષેત્રમાં સતત સંશોધનની જરૂરિયાત પર પ્રકાશ પાડે છે.


સંશોધકોએ કહ્યું છે કે કેટલાક અભ્યાસોમાં લિવર કેન્સરના જોખમ પર કોલેસ્ટ્રોલ ઘટાડતી નોન સ્ટેટિન દવાઓની અસરોની તપાસ કરવામાં આવી છે, તેથી તેમના અભ્યાસના પરિણામોને અન્ય વસ્તીમાં દોહરાવવાની જરૂર છે. નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટના ડૉ. મેકગ્લિને કહ્યું, "જો અન્ય અભ્યાસોમાં અમારા તારણોની પુષ્ટિ થાય છે, તો અમારા પરિણામો લિવર કેન્સરની રોકથામ સંશોધનને માહિતગાર કરી શકે છે."