દેશમાં કોરોનાના જોખમને જોતાં કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. કેન્દ્રીય આરોગ્યમંત્રી ડો.મનસુખ માંડવિયાએ જણાવ્યું કે ચીન, જાપાન, દક્ષિણ કોરિયા, હોંગકોંગ અને થાઈલેન્ડ. આ પાંચ દેશમાંથી આવતા મુસાફરોએ RT-PCR ટેસ્ટ ફરજિયાત કરાવવાનો રહેશે. જો આ દેશના કોઈપણ મુસાફરમાં કોવિડ-19નાં લક્ષણો જોવા મળે છે અથવા ટેસ્ટ પોઝિટિવ આવશે તેમને ક્વોરેન્ટીન કરવામાં આવશે.


એક દિવસમાં નવા કેસમાં થયો વધારો 


છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 201 નવા કેસ નોંધાયા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે શનિવારે જણાવ્યું હતું કે ભારતમાં 3,397 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 0.01% છે. Recovery rate હાલમાં 98.8% છે. છેલ્લા 24 કલાકમાં 183 લોકો સ્વસ્થ થયા છે અને કુલ રિકવરીનો આંકડો 4,41,42,791 પર પહોંચી ગયો છે.


તાજેતરમાં કોરોનાના પેટા પ્રકાર BF.7ને કારણે ચીનમાં દરરોજ 5 હજાર મૃત્યુ થઈ રહ્યા છે. આ વેરિયન્ટની સપ્ટેમ્બરથી જ ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી હતી. દેશમાં આ પ્રકારના માત્ર 4 કેસ છે, જેમાંથી 3 કેસ ગુજરાતમાં અને 1 કેસ ઓડિશાનો છે. જોકે આ દર્દીઓ હવે સ્વસ્થ છે.


બીજી તરફ રસી અંગે આરોગ્ય મંત્રાલયનો રિપોર્ટ આવ્યો છે. જે પ્રમાણે કહેવામાં આવ્યું છે કે દેશના 75% લોકોએ હજી સુધી બૂસ્ટર ડોઝ લીધો નથી. અત્યાર સુધીમાં કોઈપણ રાજ્યમાં બૂસ્ટર ડોઝનું પ્રમાણ 50% સુધી પહોંચ્યું નથી. જોકે તેલંગાણા, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ અને ઓડિશામાં 40%થી વધુ લોકોને બૂસ્ટર ડોઝ અપાયા છે.


રફતાર કોરોનાની 


આજથી એરપોર્ટ પર વિદેશથી આવતા મુસાફરોનું રેન્ડમ ટેસ્ટિંગ શરૂ થશે.
સેનાએ એક એડવાઈઝરી બહાર પાડીને જવાનોને માસ્ક પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા આદેશ આપ્યો.
સરકારની મંજૂરી મુજબ વિશ્વની પ્રથમ નાકની રસી બૂસ્ટર ડોઝ તરીકે લેવામાં આવશે.
રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં આજથી તમામ સહભાગીઓ માસ્ક પહેરશે.


3 દિવસમાં કેન્દ્રની 3જી ઉચ્ચ સ્તરીય બેઠક


કોરોના મહામારીનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ત્રણ દિવસમાં ત્રણ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજી. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે રાજ્યના આરોગ્યમંત્રીઓ સાથે બેઠક યોજી હતી. તેમણે T3 એટલે કે ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચના અપનાવવાનો આગ્રહ કર્યો.


27 ડિસેમ્બરે તમામ હોસ્પિટલોમાં મોકડ્રિલ યોજાશે


કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું, રાજ્યોને 27 ડિસેમ્બરે હોસ્પિટલોમાં આરોગ્ય સુવિધાઓની મોકડ્રિલ કરવી. તેમણે ખાસ કરીને ઓક્સિજન પ્લાન્ટ અને વેન્ટિલેટર અંગે રાજ્યોને ચેતવણી આપી. વર્ષ 2020-21માં આ બંને વસ્તુઓની ભારે અછત સર્જાણી હતી. આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર આ વ્યવસ્થાઓને મજબૂત રાખવા માગે છે.