દેશની રાજધાની દિલ્હી સમૃદ્ધ ઇતિહાસ ધરાવે છે. અહીંનો ઇતિહાસ સમગ્ર ભારત સાથે જોડાયેલો છે અને તેના સમૃદ્ધ ઇતિહાસને કારણે ઘણા પ્રવાસન સ્થળો છે. જૂની દિલ્હી અને નવી દિલ્હી વચ્ચે ઘણો તફાવત છે, પરંતુ બંનેનો આનંદ માણવા જેવો છે. ગાર્ડન, ફોર્ટ, સંસદભવન, રાષ્ટ્રપતિભવન વગેરે જાણીતા સ્થળો છે.


લાલ કિલ્લો

દિલ્હીનું જાણીતું પ્રવાસન સ્થળ લાલ કિલ્લો માત્ર મુગલ યુગ જ નહીં, પરંતુ ભારતની આઝાદી ચળવળની પણ યાદ અપાવે છે. પાંચમાં મુગલ શહેનશાહ શાહજહાંએ આ કિલ્લાનું નિર્માણ કર્યું હતું અને પોતાના રાજ્યની રાજધાનીને આગ્રાથી દિલ્હીમાં ખસેડી હતી. એક કલાકનો સાઉન્ડ એન્ડ લાઇટ શો આ કિલ્લાના અને ભારતના ઇતિહાસની ઝાંખી કરાવે છે. જૂની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં આવેલા લાલ કિલ્લાની મુલાકાત માટે એન્ટ્રી ફી છે. સવારના 9.30થી સાંજના 4.30 સુધી તે ખુલ્લો રહે છે.

અક્ષરધામ

અક્ષરધામ તુલનાત્મક રીતે દિલ્હીનું નવું આકર્ષણ કેન્દ્ર છે. બાપ્સ સ્વામિનારાયણ સંસ્થાન દ્વારા આ વિશાળ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને તેને 2005માં ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવે છે. ગુલાબી પથ્થર અને સફેદ માર્બલના અદભૂત નકશીકામ સાથે અહીં ગાર્ડન, શિલ્પો અને બોટ રાઇડનો આનંદ માણી શકાય છે. આ મંદિરમાં સેલ ફોન અને કેમેરા લઈ જવાની મંજૂરી નથી. તેની કોઇ એન્ટ્રી ફી નથી. મંદિર સવારના 9.40થી સાંજના 6.30 સુધી ખુલ્લું રહે છે.

જામા મસ્જિદ

જામા મસ્જિદ જૂની દિલ્હીનું બીજું આકર્ષક પ્રવાસન સ્થળ છે. ભારતની સૌથી મોટી મસ્જિદોમાં તેનો સમાવેશ થાય છે. આ મસ્જિદના નિર્માણ માટે 12 વર્ષનો સમય લાગ્યો હતો અને નિર્માણ કાર્ય 1656માં પૂરું થયું હતું. જૂની દિલ્હીના ચાંદની ચોક વિસ્તારમાં લાલ કિલ્લાની નજીક જામા મસ્જિદ આવેલી છે.

 


લોધી ગાર્ડન

શહેરના ઘોંઘાટથી શાંત જગ્યાનો અહી આનંદ મળે છે. 1936માં બ્રિટીશ શાસકોએ આ વિશાળ ગાર્ડનનું નિર્માણ કર્યું હતું. જોગર્સ, યોગ પ્રેક્ટિશનર્સ અને યંગ કપલ માટે આકર્ષણનું મુખ્ય સ્થળ છે. લોધી રોડ પર આવેલો આ પાર્ક હુમાયુની કબરથી નજીક આવેલો છે. સાંજે આઠ વાગ્યા સુધી આ પાર્ક ખુલ્લો રહે છે.

ચાંદની ચોક

ચાંદની ચોક જૂની દિલ્હીની મુખ્ય સ્ટ્રીટ છે. અહીંની સાંકડી ગલીઓમાં ફરવાનો આનંદ અનોખો છે. ભારતના સૌથી જૂના અને વ્યસ્ત માર્કેટમાં તેનો સમાવેશ થાય છે. જ્વેલરી, ફેબ્રિક્સ અને ઇલેક્ટ્રોનિક માટે આ વિસ્તાર જાણીતો છે. દિલ્હીના સ્ટ્રીટ ફૂડની અહીં મજા માણી શકાય છે.

કુતુબ મિનાર

વિશ્વના સૌથી ઊંચા મિનારામાં તેનો સમાવેશ થાય છે અને તે ઇન્ડો-ઇસ્મામિક શિલ્પકામનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 1193માં આ સ્મારકનું નિર્માણ થયું હતું અને નિર્માણના કારણ અંગે રહસ્ય છે. ઘણા લોકો માને છે કે ભારતમાં મુસ્લિમ શાસનના પ્રારંભને દર્શાવવા માટે કુતુબ મિનારનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ ટાવરમાં પાંચ માળ છે અને દરેકમાં પવિત્ર અદભૂત શિલ્પકામનો આનંદ માણી શકાય છે. સાઉથ દિલ્હીના મહરોલી વિસ્તારમાં આવેલો કુતુબ મિનાર સવારથી સાંજ સુધી પ્રવાસીઓ માટે ખુલ્લો રહે છે.



ઇન્ડિયા ગેટ

ઇન્ડિયા ગેટ એક વોર મેમોરિયલ છે. પ્રથમ વિશ્વ યુદ્ધમાં બ્રિટિશ આર્મી વતી લડાઈમાં શહીદ થયેલા સૈનિકનો યાદમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. અહીં ફ્લડલાઇટ, ગાર્ડન, ચિલ્ડ્રન પાર્ક વગેરે આકર્ષક સ્થળો આવેલા છે.

રાજઘાટ

ગાંધી સ્મૃતિની મુલાકાતથી જાણી શકાય છે કે મહાત્મા ગાંધીની કઈ જગ્યાએ હત્યા થઈ હતી. મહાત્મા ગાંધી 144 દિવસ અહીંના ઘરમાં રહ્યા હતા અને તે પછી 30 જાન્યુઆરી 1948માં તેમનું હત્યા થઈ છે. ગાંધીની યાદમાં વિવિધ પેઇન્ટિંગ, ફોટો, શિલ્પકામ અહીં જોવા મળે છે. અહીં તમે રાજધાટની પણ મુલાકાત લઈ શકો છો.