સ્થાનિક અહેવાલો અનુસાર, ઇટાલીની મોટાભાગની શાળાઓમાં વેન્ટિલેશન સિસ્ટમનો અભાવ છે. ઇટલીના કોવિડ સલામતી નિયમો અનુસાર  શિક્ષકોને વર્ગખંડની બારીઓ ખોલી રાખવાનો અનુરોધ કરાયો છે.


કોરોનાના કેસ ફરી એકવાર વધી રહ્યાં છે. નવા સંશોધનમાં બહાર આવ્યું છે કે, શાળાની વેન્ટિલેશન સિસ્ટમમાં સુધારો કરવાથી વિદ્યાર્થીઓમાં કોવિડ -19 ના કેસોને ઘટાડવામાં મદદ મળી શકે છે. આ તારણ   ઈટાલિયન અભ્યાસનું છે.  આ અભ્યાસ ઇટાલિયન થિંક ટેન્ક હ્યુમ ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવ્યો હતો. આમાં મધ્ય ઇટાલીમાં માર્ચેમાં 10,441 વર્ગોનો સમાવેશ કરાયો હતો.  જેમાંથી 316 વર્ગખંડો  વેન્ટિલેશન સિસ્ટમથી સજ્જ હતા, જ્યારે અન્ય 10,125 સામાન્ય હતા.


સિન્હુઆ ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ, યાંત્રિક વેન્ટિલેશન સિસ્ટમવાળા 316 વર્ગખંડોમાં, કોવિડના ખૂબ ઓછા કેસ હતા અને શાળાની વેન્ટિલેશન સિસ્ટમની ગુણવત્તા સાથે ચેપની સંખ્યામાં ઘટાડો થયો હતો. અભ્યાસ મુજબ જો સંપૂર્ણપણે વર્ગખંડની હવા દર 25 મિનિટ બાદ બદલી દેવાય તો   કેસોમાં 40 ટકાનો ઘટાડો થઇ શકે છે.


જે વર્ગખંડમાં 15 મિનિટે હવા સંપૂર્ણપણે બદલાતી હતી, ત્યાં પણ  કેસો ઓછા હતા અને દર 10 મિનિટે હવા બદલાતી હોય તેવા કિસ્સાઓમાં, અભ્યાસ મુજબ, કોવિડના નોંધાયેલા કેસો ખૂબ ઓછા હતા. સ્થાનિક અહેવાલો અનુસાર, ઇટાલીની મોટાભાગની શાળાઓમાં યાંત્રિક વેન્ટિલેશન સિસ્ટમનો અભાવ છે. ઇટાલીના કોવિડ સલામતી નિયમો માટે શિક્ષકોએ શક્ય હોય ત્યાં સુધી  વર્ગખંડની બારીઓ ખોલવી જરૂરી છે.


સપ્ટેમ્બર 2021 અને જાન્યુઆરી 2022 વચ્ચે હાથ ધરવામાં આવેલા અભ્યાસમાં જણાવાયું હતું કે, કાર્યક્ષમ વેન્ટિલેશન સિસ્ટમ્સ ઇન્સ્ટોલ કરવાથી શાળાઓમાં કેસ 100,000 વિદ્યાર્થીઓ દીઠ 250 થી ઘટીને 100,000 વિદ્યાર્થીઓ દીઠ 50 થઈ શકે છે. આ સમાચાર એવા સમયે આવ્યા જ્યારે ઈટાલીમાં ફેબ્રુઆરીની શરૂઆતથી માર્ચની શરૂઆત સુધી કોવિડ સંક્રમણ વધવા લાગ્યા હતા.. ઇટાલીમાં મંગળવારે 96,365 નવા કેસ નોંધાયા છે, જે 8 ફેબ્રુઆરી પછીના રોજના નવા કેસોની સૌથી વધુ સંખ્યા છે.