મહેસાણાઃ ‘પાટીદારોએ ટિકિટ લેવા શહીદ નિષીથ પટેલની તસવીર પર હાથ મૂકીને ભાજપમાં નહીં જોડાવાના સોગંધ લીધા હતા’
દરમિયાનમાં બળવો કરનારાં કોંગી સભ્ય સ્મિતાબેન જહા અને કોંગ્રેસનાં પલ્લવીબેન વચ્ચે ભારે તડાફડી થઈ હતી. સિમ્તાબેને સામે બેઠેલા પક્ષનાં પલ્લવીબેન સામે ચાલુ માઇકે તું ઇજ્જત વગરની કોને કહે છે, જાહેરમાં લાફો મારી દઇશ તેમ કહેતાં બંને મહિલા સભ્યો બાખડી હતી. તેથી પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી.
સોનલબેને એમ પરણ કહ્યું હતું કે, પૈસા અને સત્તાની લાલચમાં આવી ગયેલા આ પાટીદાર સભ્યોએ ટિકિટ મેળવી ત્યારે શહીદ નિષીથ પટેલની તસવીર પર હાથ મૂકીને ભાજપમાં નહીં જોડાવવા સોગંધ લીધા હતા, પરંતુ તેમણે સત્તા માટે ભાજપનો ટેકો લીધો છે અને શહીદોનું અપમાન કર્યું છે.
કોંગ્રેસમાં બળવો કરનારાં સભ્યોમાં નિમિષાબેન પટેલ, રઇબેન પટેલ, નવિનભાઇ પટેલ, વિરમભાઇ પટેલ, મહેશભાઇ પટેલ, દિનેશભાઇ પટેલ, સુનિલભાઇ ભીલ, અલ્લારખ્ખીબેન અયુબભાઇ, સ્મિતાબેન જહાનો સમાવેશ થાય છે જ્યારે સંજય બ્રહ્મભટ્ટ ગેરહાજર રહ્યા હતા ને તે પણ બળવાખોરોની સાથે જ છે.
મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિર્તીસિંહ ઝાલાએ બળવો કરનારા કોંગ્રેસીઓની ટીકા કરતાં કહ્યું કે, અંત સુધી સાથે રહેનારા સભ્યો સત્તા અને નાણાં માટે પોતાના સંતાનોની ખાધેલી સોગંધ પણ ભૂલી ગયા. પક્ષમાં બળવો કરનારા 10 સભ્યોને સસ્પેન્ડ કરવા નિર્ણય લેવાયો છે અને તેની બહાલી માટેની કાર્યવાહી ચાલુ છે.
ભાજપના ટેકાથી પ્રમુખ બનેલા રઇબેન પટેલે મુહૂર્ત જોવાની ઝંઝટમાં પડ્યા વિના પ્રમુખનો ચાર્જ સંભાળી લીધો હતો. ધોરણ-10 નાપાસ રઇબેન પાટીદાર આંદોલન બાદ કોંગ્રેસમાંથી પ્રથમ વખત ચૂંટણી લડી પ્રમુખ બન્યાં છે. પૂર્વ પ્રમુખ નિમીષા પટેલે જણાવ્યું કે, કોંગ્રેસની ડૂબેલી નૈયાને બહાર કાઢી ભાજપનો લોકશાહી ઢબે ટેકો લીધો છે.
બીજી તરફ કોંગેરેસના ઉમેદવાર તરીકે હારી ગયેલાં સોનલબેન પટેલે સવાલ કર્યો હતો કે, શું હું પાટીદાર નહોતી ? સોનલબેને બળવાખોરો સામે બળાપો કાઢ્યો હતો કે, શહીદ પાટીદારોના દેહ પર પગ મૂકીને ભાજપને સાથ આપનારા બળવાખોર સભ્યો પાટીદારોના કે કોંગ્રેસના નથી થયા તે પ્રજાના શું થશે ?
મહેસાણા: કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ઘર ફૂટે ઘર જાય જેવો ઘાટ થયો હતો અને ભાજપે કોંગ્રેસના બળવાખોરોના ટેકાથી નગરપાલિકા કબજે કરી છે. શનિવારે યોજાયેલી ચૂંટણીઓ પછી જોરદાર આક્ષેપબાજી થઈ હતી અને પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલાં લોકોનાં નામનો પણ ઉલ્લેખ થયો હતો.