કેતન પટેલના કરાયા અંતિમ સંસ્કાર, હિબકે ચડ્યો પાટીદાર સમાજ
મહેસાણા: મહેસાણાના બહુચર્ચિત કસ્ટોડિયલ ડેથમાં મૃતક કેતનના આજે બલોલ ખાતે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.તેના નાના ભાઈ દ્વારા અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે મહેસાણાથી ગાંધીનગર રાજ્યપાલના બંગલે જનારી શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરવામાં આવ્યો હતો. મહેસાણાથી બલોલ સુધી કેતન પટેલની સ્મશાનયાત્રા નીકળી હતી. આ સ્મશાન યાત્રામાં આખું ગામ અને મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યાં હતાં.
મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે બલોલ પહોંચશે.
અગાઉ પાટીદારોએ જાહેરાત કરી હતી કે તેઓ સ્વ. કેતન પટેલની શબયાત્રા કાઢવામાં આવશે અને સ્વ. કેતન પટેલના મૃતદેહને ગાંધીનગર લઈ જવાશે પરંતુ સ્વ. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલની નાજુક તબિયતના કારણે શબયાત્રા કાઢવાનો નિર્ણય રદ કરાયો હતો. અંતે પાટીદારોએ અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે અને તેમાં મોટી સંખ્યામાં પાટીદારો ઉમટ્યા છે.