મહેસાણામાં પાટીદારો સામે સરકાર ઘૂંટણિયેઃ કેતન અપમૃત્યુ કેસમાં એક પોલીસ સહિત બેની ધરપકડ, જાણો કોણ થયા જેલભેગા?
મહેસાણાઃ મહેસાણામાં પાટીદાર યુવાન સ્વ. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મામલે આખરે સરકારે પાટીદારો સામે ઝૂકવું પડ્યું છે અને આ કેસમાં બે વ્યક્તિની ધરપકડ કરાઈ છે. પોલીસે આજે સવારે હેડ કૉંસ્ટેબલ ચિરાગ પરમાર અને દુકાનદાર ભરત બારોટની ધરપકડ કરી હતી. બંનેને આજે કોર્ટમાં રજૂ કરીને રીમાન્ડ માગવામાં આવશે.
મૃતક કેતન પટેલના પિતા મહેન્દ્રભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદના પગલે સોમવારે મધરાત્રે પોલીસે હેડ કોન્સ્ટેબલ ચિરાગ પરમાર, કેતન સામે ચોરીની ફરિયાદ કરનાર પાર્લર માલિક ભરત બ્રહ્મભટ્ટ સહિતના જવાબદારો સામે ગુનો નોંધ્યો હતો. આ કેસની તપાસ ડીવાયએસપી રાજેશ ગઢિયાને સોંપાઇ છે.
આ ગુનો નોંધવા કેતનના પિતા મહેન્દ્રભાઇ નારાયણભાઇ પટેલે આપેલી અરજીમાં એવો સનસનીખેજ આક્ષેપ કર્યો છે કે, કેતનને છોડવા માટે પોલીસ દ્વારા મારી પાસે વારંવાર રૂપિયા 17000ની માંગણી કરવામાં આવી હતી. આ રકમ ન આપતા મારા પુત્રની હત્યા કરવામાં આવી છે.
મોડીરાત્રે ભરત બ્રહ્મભટ્ટ અને ચિરાગ પરમારની અટકાયત કરી લેવાઇ હતી અને વહેલી સવારે તેમની ધરપકડ કરાઈ હોવાની જાહેરાત કરી હતી. પોલીસે ગેરકાયદે ગોંધી રાખી ખોટી રીતે અસહ્ય માર મારી ખૂન કર્યું હોવાના આક્ષેપો સાથે કેતન પટેલના પિતાએ ફરિયાદ નોંધાવી હતી.
મહેન્દ્રભાઈ પટેલે આ ગુનામાં આ કેસના તપાસનીશ અધિકારી ચિરાગ પરમાર, તેની સાથેના પોલીસ અધિકારીઓ, પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારીઓ અને જેલના જેલર, જેલના ર્ડાકટર અને આ કેસનું સુપરવિઝન કરનારા અધિકારીઓ વિરુદ્ધ હત્યા, લૂંટ, ષડયંત્ર સહિતની કલમો આધારિત ગુનો નોંધાવ્યો હતો.