અમદાવાદ: અમદાવાદ કોરોના વાયરસના સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે.  અમદાવાદ કોર્પોરેશનમાં આજે 601 નવા કોરોના સંક્રમણના કેસ નોંધાયા છે. સતત વધી રહેલા કોરોના સંક્રમણના કારણે મહાનગરપાલિકા દ્વારા માઈક્રો કન્ટેઈમેન્ટ ઝોન જાહેર કરાયા છે.  અમદાવાદ શહેરમાં નવા 14 સ્થળો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. 14 નવા સ્થળો જાહેર કરાયા બાદ  માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા વધીને 265 પર પહોંચી છે. 


જૂના ત્રણ સ્થળોને માઈક્રો કન્ટેનમેન્ટમાંથી દૂર કરવામાં આવ્યા છે.  મણિનગરની અર્બુદા સોસાયટીમાં 150 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.  બોડકદેવ સ્થિત સેન્ચુરી ટાવરમાં 65 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યા છે.


રાજ્યમાં કોરોના સંક્રમણમાં  સતત વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં રેકોર્ડબ્રેક કોરોના વાયરસ (Coronavirus)ના કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 2276 નવા કેસ નોંધાયા હતા. જ્યારે વધુ 5 લોકોના કોરોના (Corona)  સંક્રમણથી મૃત્યુ થયાં હતા. આજે રાજ્યમાં 1534 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.  



રાજ્યમાં અત્યાર સુધી 2,83,241 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  ચિંતાજનક વાત એ છે કે રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)નો આંકડો 10 હજારને પાર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસ 10871 પર પહોંચ્યા છે. જેમાંથી 157 લોકો વેન્ટિલેટર પર અને 10714 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.86 ટકા પર પહોંચ્યો છે. 



ગુજરાતમાં પ્રવેશ મેળવવા માટે હવે RT-PCR રિપોર્ટ ફરજિયાત કરાયો છે. અન્ય કોઈપણ રાજ્યમાંથી ગુજરાતમાં આવતા પહેલા તમારે RT-PCR ટેસ્ટ રિપોર્ટ બતાવવો પડશે.  1 એપ્રિલથી નવી સૂચના ન મળે ત્યા સુધી લાગૂ પડશે નિયમ.


ક્યાં કેટલા કેસ નોંધાયા  ?


 


સુરત કોર્પોરેશનમાં 607, અમદાવાદ કોર્પોરેશનમાં 601, વડોદરા કોર્પોરેશનમાં 259 , સુરત 153,  રાજકોટ  કોર્પોરેશનમાં 145, વડોદરા 67,  ભાવનગર કોર્પોરેશન-29, રાજકોટ 27, ગાંધીનગર કોર્પોરેશન 24, અમરેલી 22, જામનગર કોર્પોરેશન 22, દાહોદ 20, પાટણ 19, ખેડા 18, કચ્છ 18, મહેસાણા 18, નર્મદા 18, મોરબી 17, આણંદ 16, પંચમહાલ 16, ગાંધીનગર 15, જામનગર 15, અમદાવાદ 11, ભરૂચ 11, સાબરકાંઠા અને વલસાડમાં 10-10  કેસ નોંધાયા હતા.  



કેટલા લોકોએ લીધી રસી


 


વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 44,29,556  લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 6,29,707 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  રાજ્યમાં આજે કુલ 3,44,256 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 2,98,973 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.