અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. એમાં પણ અમદાવાદમાં કેસો સૌથી વધુ છે, ત્યારે આજે વધુ એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરની એલ.જી. હોસ્પિટલમાં અન્ય સારવાર માટે આવેલા 37 દર્દીઓમાંથી 17 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્યારે આ તામ દર્દીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.


નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને સારવાર માટે આવેલા દર્દીઓની જરૂર જણાય તો કોરોનાના રિપોર્ટ કરાવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં 37 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 17 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 17 દર્દીઓમાં 12 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે. ગઈ કાલે આ લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેના રિપોર્ટ આજે આવ્યા છે.

ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીની સરકારની અખબારી યાદી પ્રમાણે, ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસ 12140 નોંધાયા છે, જેમાંથી 5043 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ હાલ, ગુજરાતમાં 6379 લોકો સારવાર હેઠળ છે, જ્યારે અત્યાર સુધીમાં 719 લોકોના મોત થઈ ચૂક્યા છે. અમદાવાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 8945 કેસ નોંધાયા છે. જેમાંથી 3023 લોકો સ્વસ્થ થયા છે. જ્યારે 5346 લોકો સારવાર હેઠળ છે અને 576 લોકોના મોત થયા છે.