વડોદરાના વાઘોડીયા ચોકડીના બ્રિજ પર ટ્રેલર અને ટેમ્પો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 11 લોકોના મોત થયા છે. આ અકસ્માતમાં 17 યાત્રીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સુરતથી પાવાગઢ તરફ આઈસર જઈ રહી હતી ત્યારે જ વાઘોડિયા ચોકડી પાસે ટેમ્પો અને ટ્રેલર વચ્ચે અકસ્માત થયો હતો. જેમાં 11 યાત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મૃતકોમાં એક બાળક, પાંચ મહિલા અને ત્રણ પુરુષો છે. તમામ મુસાફરો આહીર પરિવારના અને મૂળ નાની ખેરાડી ગામના રહેવાસી છે. તેમજ સુરતના વરાછામાં રહેતા હતા અને હીરાનું કામ કરતા હતા.
સુરેન્દ્રનગર-લખતર હાઈવે પર કોઠારીયા નજીક આવેલ પેપર મીલ પાસે કાર ઝાડ સાથે અથડાતાં અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે એક વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અંગેની મળતી વિગતો પ્રમાણે લખતરનો પ્રજાપતિ પરિવાર ભગુડા મા મોગલના દર્શન કરીને પરત ફરી રહ્યો હતો, ત્યારે કોઠારીયા ગામ પાસે કાર ઝાડ સાથે અથડાઇ હતી, જેમાં 3 મહિલા અને એક પુરુષ સહિત કુલ ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિને ઇજા થઈ છે.