અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત છે, ત્યારે અમદાવાદ શહેરનાં હાટકેશ્વર વિસ્તારનાં ભાઈપુરાનાં હરિપુરા વોર્ડમાં એક સાથે 21થી પણ વધુ શાકભાજી ફેરીયાવાળાને પોઝિટીવ આવતા તંત્રમાં ખળભળાટ મચ્યો છે, આ મામલે ગંભીરતા જોતા તંત્રનાં ઉચ્ચ અધિકારીઓ પોલિસ કાફલા સાથે હરિપુરા ખાતે તમામને ક્વોરન્ટાઈન કરી ને બસો મારફતે તેમના પરિવારોને લઈ જવા તજવીજ હાથ ધરી હતી. તંત્રએ સમગ્ર વિસ્તારને સેનેટાઈઝ કરીને સંપૂર્ણ વિસ્તારને બ્લોક કર્યો, સાથે સાથે રસ્તાઓ પર બેરીકેડ મૂકીને કોર્ડન કરીને નાગરીકોને ઘરની બહાર ના નિકળવાની સૂચના પણ આપવામાં આવી હતી.


ઉલ્લેખનીય છે કે ગઇકાલે જ અમદાવાદ શહેરમાં સુપર સ્પેડરને લઇને તંત્ર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં AMCનું હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ ધારક જ શાકભાજી વેચી શકશે. શહેરમાં કુલ 1409 શાકભાજીના ફેરિયાઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને તેઓને હેલ્થ સ્ક્રિનિંગ કાર્ડ આપવામાં આવ્યાં હતા. ત્યારે શહેરના હાટકેશ્વર વિસ્તારમાંથી 21 શાકભાજીના ફેરિયાઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્ર હરકતમાં આવ્યું છે.

મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા એ એવો દાવો કર્યો છે કે,અમદાવાદ શહેરમાં છેલ્લા દોઢ મહિનામાં કોરોનના એક્ટિવ કેસનો વૃદ્ધિ દર પાંચ ટકા થી નીચે ગયો છે. તેમણે કહ્યું,કોરોનની કોઈ રસી કે દવા નથી આ સંજોગોમાં જે લક્ષણ દેખાય એના આધારે દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

ગુજરાતમાં કોરોનાનું હોટસ્પોટ અમદાવાદ શહેર બન્યું છે.રાજ્યમાં વધતા જતા કેસોમાં અમદાવાદ સૌથી વધુ આગળ છે. રાજ્યમાં આજે વધુ 376 કેસ નોંધાયા છે. જે અત્યાર સુધીના સૌથી વધારે છે તો મોત પણ અત્યાર સુધીના 29 થયા છે. જે પણ અત્યાર સુધીના સૌથી વધુ છે. રાજ્યમાં 6000 કેસો પર પહોંચવા આવ્યું છે તો અમદાવાદમાં કેસો 4000ને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા 6 દિવસમાં પરિસ્થિતિ અતિ ગંભીર બની છે. રાજ્યમાં છેલ્લા6 દિવસોમાં કોરોના સંક્રમિતોનો આંક 2000થી વધુ એટલે કે કુલ 2030 જેટલા કેસ નોંધાયા છે. જેમાંના 1533 કેસ તો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. એટલે કે 75.71 ટકા કેસો ફક્ત અમદાવાદમાં જ નોંધાયા છે. રાજ્યમાં હાલ કોરોના સંક્રમિતોનો કુલ આંક 5804 થયો છે.

અમદાવાદમાં હાલની પરીસ્થિતિમાં કુલ-3101 દર્દીઓ સારવાર હેઠળ છે. અમદાવાદમાં મધ્ય ઝોનમાં 1210, દક્ષિણ ઝોનમાં-749, ઉત્તર ઝોનમાં 385, વેસ્ટ ઝોનમાં 209,પૂર્વ ઝોનમાં 273, દક્ષિણ પશ્ચિમમાં 100ને ઉત્તર પશ્ચિમમાં 85 કેસ નોંધાયા છે. ગઈકાલે અમદાવાદ શહેરમાં કુલ 251ને ગ્રામ્યમાં નવ મળી કુલ 259 કેસ નોંધાયા છે.