Corona Virus Update: ગુજરાતમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રોજે રોજ કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આજે ફરી કોરોનાના નવા કેસમાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 401 કેસ નોંધાયા છે. 241 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં 141 કેસ નોંધાયા છે. જ્યારે સુરતમાં 30, રાજકોટ શહેરમાં 29, મોરબી અને વડોદરામાં 22 -22 કેસ, મહેસાણામાં 16, સુરત શહેરમાં 15, અમરેલીમાં 14 કેસ નોંધાયા છે.










તો બીજી તરફ બનાસકાંઠામાં વધુ 8 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. પાલનપુર, થરાદ અને ડીસામાં કોરોનાના દર્દી મળી આવ્યા છે. કોરોનાએ ફરી માથું ઉંચકતા લોકોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. 


 રાજ્યમાં ગાજવીજ અને પવન સાથે પડશે કમોસમી વરસાદ


હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના લીધે કમોસમી વરસાદ રહેશે. કેટલાક વિસ્તારમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ પડશે. આગામી 24 કલાકમાં સામાન્ય કમોસમી વરસાદ પડશે. બે દિવસ બાદ કમોસમી વરસાદનું જોર ઘટશે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં આવતીકાલે કમોમસી વરસાદનું જોર રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગર સહિત માવઠું પડશે. 3 દિવસ બાદ ગુજરાતમાં ગરમીનો પારો વધશે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 29 થી 31 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસશે.  29 માર્ચે દ્વારકા, કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં માવઠું પડી શકે છે.  30 માર્ચે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, મોરબી, કચ્છ, અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં વરસાદ વરસી શકે છે.  31 માર્ચે ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ અને ભરુચ જિલ્લામાં વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે વરસાદની સાથે ભારે પવન પણ ફૂંકાશે.


બનાસકાંઠાના વાતાવરણમાં પલટો


બનાસકાંઠા જિલ્લામાં બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે. ધાનેરા,ડીસા, દિયોદર,કાંકરેજ, દાંતીવાડા સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. હવામાન વિભાગની આગાહીના પગલે વાદળ ઘેરાયા છે. ફરી કમોસમી વરસાદની આગાહીના પગલે ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. ઘઉં, એરંડા, જીરુ સહિતના પાકોને નુકસાનીની ભીતિ છે.


IMD એ આપ્યું વરસાદનું એલર્ટ


હવામાનમાં અચાનક પલટો અને કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા અને પંજાબના ઘણા વિસ્તારોમાં તોફાન, વરસાદ અને કરા પડવાને કારણે લાખો હેક્ટરનો પાક નાશ પામ્યો હતો. ઘઉંનો પાક ખેતરમાં બેસી ગયો ત્યારે ભારે વરસાદને કારણે સરસવના તમામ દાણા ખેતરમાં જ પડી ગયા હતા. કેન્દ્ર અને રાજ્ય સરકારોએ હવામાનમાં આવેલા અનિશ્ચિત ફેરફારોને કારણે થયેલા નુકસાન માટે વળતરની જાહેરાત કરી છે, પરંતુ ખેડૂતોની મુસીબતો અહીં સમાપ્ત થતી નથી. ફરી એકવાર ભારતીય હવામાન વિભાગે 29, 30 અને 31 માર્ચની આગાહી જાહેર કરી છે.