અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ, અનલોક-2 જાહેર કરવામાં આવ્યું છે. તેમજ અનલોક-2માં સમગ્ર દેશમાં કેટલીક વધુ છૂટછાટ આપવામાં આવી છે. ગુજરાતમાં ધંધા-રોજગાર તો શરૂ થયા છે, પરંતુ તેની સામે અનલોક-2નું પહેલું અઠવાડિયું રાજ્ય માટે ઘાતક સાબિત થયું છે. છેલ્લા એક જ અઠવાડિયામાં રાજ્યમાં કોરોનાના 4993 કેસ નોંધાયા છે. એટલું જ નહીં, છેલ્લા પાંચ દિવસથી તો કોરોનાના કેસો દૈનિક 700ને પાર થઈ ગયા છે. જે ચિંતાજનક છે.
અત્યાર સુધી કોરોનાના કેસો અમદાવાદમાં સૌથી વધુ હતા. જોકે, હવે ગુજરાતમાં અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ વધી ગયું છે. અત્યાર સુધી અમદાવાદ સિવાયના જિલ્લાઓમાં ખૂબ જ ઓછા કેસ આવતાં હતા, જ્યાં પણ હવે બેકી સંખ્યામાં કેસો નોંધાવા માંડ્યા છે. એટલું જ નહીં, છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો સુરતમાં અમદાવાદ કરતાં પણ વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આમ, અનલોક-2માં ગુજરાતમાં કોરોનાના કેસો મોટી સંખ્યામાં વધ્યા છે. સાથે સાથે અન્ય જિલ્લાઓમાં પણ સંક્રમણ વધ્યું છે. ગુજરાતમાં હવે ડાંગ એકમાત્ર જિલ્લો એવો રહ્યો છે, જ્યાં હાલ કોરોનાના એક પણ એક્ટિવ કેસો નથી. એટલું જ નહીં, પોરબંદર, નર્મદા અને દેવભૂમિ દ્વારકા જિલ્લો જ એવા બચ્યા છે, જ્યાં એક્ટિવ કેસો 10ની અંદર છે. બાકીના જિલ્લાઓમાં એક્ટિવ કેસોની સંખ્યા વધી છે.
તારીખ કેસ ડિસ્ચાર્જ મોત
07-06-2020 ૭૭૮ ૪૨૧ ૧૭
06-06-2020 ૭૩૫ ૪૨૩ ૧૭
05-06-2020 ૭૨૫ ૪૮૬ ૧૮
04-06-2020 ૭૧૨ ૪૭૩ ૨૧
03-06-2020 ૬૮૭ ૩૪૦ ૧૮
02-06-2020 ૬૮૧ ૫૬૩ ૧૯
01-06-2020 ૬૭૫ ૩૬૮ ૨૧
કુલ ૪૯૯૩ ૩૦૭૪ ૧૩૧