અમદાવાદમાં આજે ગાજવીજ સાથે છૂટાછવાયા ઝાપટાંની આગાહી, જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Jul 2020 07:56 AM (IST)
આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
સૌરાષ્ટ્રમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હજુ આગામી બે દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે આજે અમદાવાદમાં ગાજવીજ સાથે છૂટાછવયા ઝાપટાંની પણ હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના મતે, અમદાવાદમાં આજે છૂટાછવાયા ઝાપટાં પડે તેવી સંભાવના છે. હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ આજે અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદ પડે તેવી સંભાવના દર્શાવી છે. મહત્વની વાત એ છે કે, અમદાવાદમાં છેલ્લા દિવસથી વરસાદી વાતાવરણ જોવા મળે છે પણ વરસાદ પડતો નથી જેના કારણે લોકોને નિરાશ થવાનો વારો આવ્યો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર અને તેની આસપાસ વેલમાર્ક લો પ્રેશર યથાવત છે. જેના કારણે બુધવારે જામનગર, પોરબંદર, દ્વારકા, ગીર સોમનાથ, રાજકોટ, જુનાગઢ, મોરબી, દીવ, કચ્છમાં ભારેથી અતિભારે જ્યારે અરવલ્લી, મહીસાગર, સુરત, અમરેલી, ભાવનગર, બોટાદમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત વરસાદ પડે તેની સંભાવના છે. ગુરુવારે દ્વારકા-કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જોકે, હાલની સ્થિતિ પ્રમાણે 10થી 13 જુલાઈ દરમિયાન ભારે વરસાદની સંભાવના નથી.