અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. લોકો તો કોરોનાનો ભોગ બની જ રહ્યા છે. આ ઉપરાંત કોરોના વોરિયર્સ પણ કોરોનાનો ભોગ બની રહ્યા છે, ત્યારે શહેર પોલીસ કમિશ્નર કચેરીમાં એક સાથે 8 પોલીસકર્મીઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. કંટ્રોલ રૂમના 8 પોલીસકર્મીઓને કોરોના પોઝિટિવ આવ્યો છે. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવતા કુલ 10 લોકોના ટેસ્ટ કરાયા હતા, જેમાંથી 8ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 2 લોકોને ક્વોરન્ટાઇન કરાશે.


ગઈ કાલે અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પાંચ પોલીસકર્મીઓ પણ કોરોનાનો ભોગ બન્યા છે. રામોલ પોલીસ સ્ટેશનના એએસઆઇ અને 4 કોન્સ્ટેબલને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ પાંચેય પોલીસકર્મીઓના સંપર્કમાં આવેલા તમામને હોમ ક્વોરેન્ટાઇન કરવામાં આવશે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યાર સુધીમાં કોરોનાના 9724 કેસો નોંધાયા છે, જેમાંથી 3658 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. જ્યારે 645 લોકોનું કોરોનાને કારણે મોત થયું છે. હાલ, અમદાવાદમાં 5421 દર્દીઓ સારવાર હેઠળ છે. ગુજરાતમાં કોરોનાના કુલ કેસ 13,273 નોંધાયા છે. જેમાંથી 5880 લોકોએ કોરોનાને મ્હાત આપી છે, જ્યારે રાજ્યમાં કુલ 802 લોકોના કોરોનાથી મોત થયા છે. તેમજ હાલ, 6591 લોકો સારવાર હેઠળ છે.