અમદાવાદઃ અમદાવાદનું એક નવપરણિત યુગલ RT-PCRનો ટેસ્ટ કરાવ્યો હોવા છતાં એરલાઈન્સની જડતાના કારણ દુબઈ ના જઈ શકતાં તેમની હનીમૂનનો પ્લાન ખોરવાઈ ગયો છે. એરલાઇન્સ કંપનીએ RT-PCR  ટેસ્ટ માટે જરૂરી વધુમાં વધુ 72 કલાકથી વધુ સમય થઈ ગયો હોવાનો મુદ્દો ઉભો કરીને તેમને દુબઈ નહોતા જવા દીધા.  અમદાવાદના કેદાર પટેલ અને માનસી પટેલ અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી શુક્રવારે દુબઈની બપોરે દોઢ વાગ્યાની  ફ્લાઈટ પકડવા નિકળ્યાં હતાં.  એરપોર્ટ પર એરલાઇનના  કાઉન્ટર પર તેમના લગેજનું ચેકિંગ કરીને ટેગ મારી ફ્લાઈટમાં રવાના કર્યું હતું. દુબઈ માટે ફરજિયાત RT-PCR  ટેસ્ટ પણ  નેગેટિવ હતો પણ તેમાં ટેસ્ટના સમયનો ઉલ્લેખ ન હોવાથી એરલાઈન્સે સમયની જાણકારી માગી હતી.  


નવયુગલે તાત્કાલિક લેબોરેટરીમાં વાતચીત કરીને ફરીથી નવો રિપોર્ટ મંગાવ્યો હતો. રીપોર્ટમા 9 માર્ચે 12.30 કલાકે  ટેસ્ટ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.  એરલાઇન્સ કંપનીએ આ ટેસ્ટ માન્ય  નહી ગણવાનું કહીને તેમને દુબઈ મોકલવાની ના પાડી દીધી હતી.  એરલાઇન કંપનીઓ જણાવ્યું કે, વધુમાં વધુ 72 કલાક પહેલાંનો નેગેટિવ ટેસ્ટ જોઈએ પણ આ 72 કલાક 12.30 વાગ્યે પૂરા થઈ ગયા છે અને ફ્લાઇટ દોઢ વાગ્યાની છે તેથી દુબઈના નિયમ મુજબ ફલાય નહીં કરી શકો.'


કપલે સ્ટાફને વિનંતી કરી હતી કે, અમે 11 વાગ્યે એરપોર્ટ પર આવી ગયા છીએ તો અમને જવા દો પરંતુ એરલાઇન્સના અધિકારીઓ ટસના મસ થયા નહીં અને બંને કપલને ઓફલોડ કરી ઘરે રવાના કરી દીધા હતા.