અમદાવાદ: વી.એસ. હોસ્પિટલના બિલ્ડીંગ તોડી પાડવા અંગેના ટેન્ડરને લઈને હાઈકોર્ટમાં પડકારતી અરજી પર આજે કોર્ટમાં સુનાવણી થઈ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હાઇકોર્ટમાં પોતાના નિવેદન આપ્યું છે. જેમાં તેમણે કહ્યું, વી.એસ. હોસ્પિટલમાં દર્દીઓને મળતી મફત મેડીકલ સારવાર યથાવત રખાશે. હોસ્પિટલમાં 500 બેડ જ્યાં આવેલા છે તે બિલ્ડીંગો કોર્પોરેશન નહીં તોડે તેવું નિવેદન આપ્યું છે. બિસ્માર બનેલી ઇમારતોથી દર્દીઓને નુકસાન ન થાય એટલે એમને તોડવા જરૂરી હોવાનું એડવોકેટ જનરલે કોર્ટમાં નિવેદન આપ્યું છે. કોર્પોરેશન વતી અપાયેલી બાંહેધરી બાદ કોર્ટે અરજીનો નિકાલ કર્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સારવાર અને સ્વાસ્થ્યના અધિકારથી વંચિત રાખવાનો કારસો હોવાની અરજદારે કોર્ટમાં ફરિયાદ કરી હતી. હવે વીએસ હોસ્પિટલમાં મેડિકલ સુવિધા ના અભાવ અંગેના મુદ્દે 11 ઓકટોબરના રોજ સુનાવણી હાથ ધરાશે.


રખડતા ઢોર નિયંત્રણ કાયદો પરત ખેંચાશે


ગાંધીનગરઃ રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલાં માલધારીઓએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.


વિધાનસભા સત્રના પ્રથમ દિવસે બિલ પરત ખેંચાશેઃ


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાલ રખડતા ઢોર નિયંત્રણ કાયદો બનાવા માટેનું બિલ પરત મોકલ્યું છે. જે મુજબ હવે આ બિલને ફરીથી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે. જ્યાં સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે.  મહત્વનું છે કે, થોડા મહિનાઓ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર પર કાબુ લેવા માટે આ વર્ષે જ વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે મુજબ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સામેના કાયદાને વધુ કડક બનાવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ કાયદાનો માલધારી સંગઠનો દ્વારા ભારે વિરોધ થયો હતો.


રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થયો હતોઃ


ગઈકાલે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં 21 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દૂધ નહી વેચે એવો નિર્ણય પણ લેવાયો હતો.