અમદાવાદઃ પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ કલોલમાં તિરંગા યાત્રા કાઢી છે. આ યાત્રામાં દિલ્હીના ધારાસભ્ય સૌરભ ભારદ્વાજ અને ઈશુદાન ગઢવી હાજર રહ્યા છે. તિરંગા યાત્રા દ્વારા લોકોને આપ સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


ભાજપ- કૉંગ્રેસની સાથોસાથ હવે આમ આદમી પાર્ટી પણ વિધાનસભા ચૂંટણી 2022ને લઈ તૈયારીઓ શરૂ કરી છે. પંજાબની જીત બાદ આમ આદમી પાર્ટીનો અમદાવાદમાં રોડ શો યોજાશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, 20 માર્ચે અમદાવાદમાં દિલ્હી અને પંજાબના મુખ્યમંત્રી અમદાવાદમાં રોડ શો કરશે.


તો ગઈકાલે મહિસાગરના લુણાવાડામાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા યોજી હતી. લુણાવાડામાં યોજાયેલી તિરંગા યાત્રામાં દિલ્લીના ધારાસભ્ય રવિશકુમાર અને પ્રદેશ ઉપપ્રમુખ પ્રોફેસર અર્જુન રાઠવા જોડાયા હતા.


કેજરીવાલે દિલ્લીવાસીઓ માટે ફરીવાર એક FREE ની જાહેરાત કરી


દિલ્લીની અરવિંદ કેજરીવાલ સરકાર દિલ્લીની જનતા માટે નવી યોજના તૈયાર કરી રહી છે. આ યોજનામાં દિલ્હીનો આરોગ્ય વિભાગ ખાનગી ડાયગ્નોસ્ટિક લેબ દ્વારા દર્દીઓને 450 પ્રકારના ટેસ્ટ મફતમાં ઉપલબ્ધ કરાવવાની તૈયારી કરી રહ્યું છે.દિલ્લીની સરકારી હોસ્પિટલો ઉપરાંત, દર્દીઓને દવાખાના, મોહલ્લા ક્લિનિક્સ અને પૉલીક્લીનિકમાં સારવાર દરમિયાન તેની સુવિધા મળશે.આ ખાનગી લેબની નિમણૂક માટે આરોગ્ય વિભાગે પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે.


હાલમાં દિલ્લીના મોહલ્લા ક્લિનિક્સમાં 212 પ્રકારની તપાસની સુવિધાઓ છે, પરંતુ દવાખાનાઓમાં ટેસ્ટ માટે કોઈ વિશેષ સુવિધાઓ આપવામાં આવી નથી. મોટાભાગના 15 થી 20 પ્રકારના ટેસ્ટ અહીં થાય છે અને બાકીની તપાસ માટે બહાર જઈને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. હવે દિલ્હી સરકાર ટૂંક સમયમાં અન્ય તપાસની સુવિધા આપશે.


દિલ્લી સરકારની આ યોજનામાં, કેન્દ્ર સરકારની આરોગ્ય યોજનાની સૂચિમાં સૂચિબદ્ધ 282 પ્રકારના ટેસ્ટ ઉપરાંત, 168 અન્ય ટેસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ સુવિધા માટે પહેલા તબીબો દર્દીઓને સ્લીપ આપશે અને પછી આ દર્દીઓ ખાનગી લેબમાં જઈને ટેસ્ટ કરાવશે.