Ahemdabad News:અમદાવાદ શહેરમાં કોઈ સ્થળે પિકનિક જવા માટે પણ હવે સ્કૂલોએ ફરજિયાત ડીઈઓની મંજૂરી લેવી પડશે, શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ પ્રવાસ માટે નવા 27 નિયમોનો પરિપત્ર મોકલ્યો છે. પહેલાં સ્કૂલોએ​​​​​​​ માત્ર પ્રવાસ સ્થળ, વાહન રજિસ્ટ્રેશન કરાવવું પડતું હતું પરંતુ હવેથી આ 27 નિયમોનું પણ પાલન કરવું પડશે



અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલોમાંથી પ્રવાસ લઇ જવા માટે નવા 27 નિયમો જાહેર કર્યા છે. જે મુજબ હવે સ્કૂલ સંચાલકોએ શહેરમાં પણ એક દિવસની પિકનિક માટે પણ ફરજિયાત રીતે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીની મંજૂરી લેવી પડશે. જો કોઇ સ્કૂલ સંચાલક મંજૂરી વગર પ્રવાસ કરશે તો તેના પર કડકકાર્યવાહી કરાશે. અત્યાર સુધી સ્કૂલોએ પ્રવાસ માટે લઇ જતા સમયે 14 જેટલા નિયમોનું પાલન કરવું પડતું હતું. જેનું ચેક લિસ્ટ શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરી દ્વારા અપાયું હતું.

ઉપરાંત સ્કૂલો શહેર બહાર જ પ્રવાસ માટે મંજૂરી લેતી હતી, જ્યારે કાંકરિયા જેવા સ્થળોની મુલાકાત સમયે સ્કૂલો મંજૂરી લેતી ન હતી, પરંતુ હવે નવા નિયમ પ્રમાણે સ્કૂલે ફરજિયાત સ્કૂલ બહાર જતા સમયે મંજૂરી લેવી પડશે.વડોદરામાં પિકનિક દરમિયાન થયેલી દુર્ઘટના બાદ સમગ્ર રાજ્યની સ્કૂલોમાં પ્રવાસ માટેની મંજૂરીના નિયમો કડક કરાયા છે, સામે હવે પ્રવાસ લઇ જનારી સ્કૂલોની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે.

પ્રવાસ દરમિયાન સ્કૂલ સંચાલકો તરફથી કોઇ બેદરકારી ન રહે અને વિદ્યાર્થીની સુરક્ષા સામે કોઇ જોખમ ઉભુ ન થાય તે માટે હવે શિક્ષણ વિભાગની સ્થાનિક કચેરીઓ દ્વારા પણ નવા નિયમો અમલી કરાયા છે. જે મુજબ અમદાવાદ શહેરે 27 નિયમોનું ચેક લિસ્ટ તૈયાર કર્યું છે.

સ્કૂલોએ પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા પહેલી પ્રાથમિકતા હોવી જોઇએ. જેને ધ્યાનમાં રાખીને અમે પ્રવાસ માટે જનારી સ્કૂલોએ પાલન કરવાના નવા નિયમો તૈયાર કર્યા છે. જેમાં હવે સ્થાનિક પિકનિક માટે પણ મંજૂરી લેવી પડશે. જો મંજૂરી વગર જ કોઇ સ્કૂલ પ્રવાસ કરશે તો તાત્કાલિક તેના પર પગલાં લેવાશે.