અમદાવાદઃ શહેરમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે 20મી જૂને અમદાવાદ કોર્પોરેશન દ્વારા નવા માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનની યાદી જાહેર કરી છે, જેમાં 6 જૂના વિસ્તારો અને 30 નવા વિસ્તારો મળી કુલ 36 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કર્યા છે. આ 36માંથી 6 વિસ્તારો એવા છે, જ્યાં કોરોનાનો સૌથી વધુ ખતરો છે. આ છ વિસ્તારો એવાં છે, જ્યાં 1000થી વધુ લોકોને માઇક્રો કન્ટેન્મેન્ટમાં સમાવાયા છે.


આ વિસ્તારોની વાત કરીએ તો નારણપુરાના મંગલ મૂર્તિ એપાર્ટમેન્ટના 950 ઘરોના લગભગ 3000 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કર્યા છે. અમરાઈવાડીના જનતાનગરના 188 ઘરોમાં 1010 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે. વિરાટનગરના ખોડિયારનગરમાં 189 ઘરોમાં 1089 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે.

આ ઉપરાંત જોધપુરના સચિન ટાવરના 350 ઘરોમાં 1224 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે. ચાંદખેડાના ગાયત્રીનગરમાં 322 ઘરોમાં 1356 લોકોને ક્વોરેન્ટાઇન કરાયા છે અને સ્ટેડિયમના 650 ઘરોમાં 2469 લોકોને હોમ ક્વોરેન્ટાઇન કારાયા છે.