અમદાવાદઃ અમદાવાદમાં યોજાતી ભગવાન જગન્નાથની ઐતિહાસિક રથયાત્રાને પરવાનગી આપવાની અરજી ગુજરાત હાઇકોર્ટે ફગાવી છે. ત્યારે આજે મંદિર પરિસરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ફરશે. ત્યારે હાલ, ખલાસીઓ દ્વારા રથ ખેંચવાનું શરૂ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં રથયાત્રા નીકળતા ભક્તોએ જય જગન્નાથનો નાદ લગાવ્યો હતો. હાલ, રથ મંદિરની પ્રદક્ષિણા કરી રહ્યો છે. લોકોએ 'હાથી ઘોડા પાલકી, જય કનૈયા લાલ કી' ના નારા લગાવ્યા હતા.


સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પહિંદવિધિ કરવામાં આવી હતી. ત્રણ રથયામાં ભગવાન જગન્નાથ, બહેન શુભદ્રા અને બલરામ બીરાજમાન છે. આજે ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા છે. શનિવારે એક જાહેર હિતની અરજીમાં હાઇકોર્ટે રથયાત્રા પર રોક લગાવતા આજે રથયાત્રાની તરફેણમાં ખાનગી અરજદારોની સાત અને એક અરજી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી.

જેમાં આજે ઓડિશાના પુરીમાં યોજાથી જગન્નાથ રથયાત્રાને સુપ્રીમે મંજૂરી આપી હોવાથી હાઇકોર્ટ પણ અમદાવાદની રથયાત્રા અંગે ફેરવિચારણા કરવા માગણી કરવામાં આવી હતી. જો કે હાઇકોર્ટે આ તમામ અરજીઓ ફગાવી ટકોર કરી હતી કે અગાઉ રાજ્ય સરકાર રથયાત્રાની તરફેણમાં નહોતી અને હવે સ્ટેન્ડ શા માટે બદલી રહી છે? કોરોનાની મહામારીની સ્થિતિ જોતા રથયાત્રાને પરવાનગી આપી શકાય નહીં.