આ અંગે મળતી વિગતો એવી છે કે, ઘાટલોડિયામાં રહેતા અને ઓર્થોપેડિક હોસ્પિટલ ધરાવતા ડોક્ટર સાથે ગત ઓગસ્ટ મહિનામાં મેરેજ બ્યુરો થકી યુવતીના લગ્ન થયા હતા. યુવતીના પિતાએ ફરિયાદ નોંધાવી છે કે, લગ્ન પછી તેની સાસરીવાળા દહેજને લઈને તેમની દીકરીને પરેશાન કરતા હતા. તેમજ પતિ પણ માતા-પિતાનો પક્ષ લઈ મારઝૂડ કરતો હતો. આથી દીકરીએ કંટાળીને આપઘાત કર્યો છે.
પિતાની ફરિયાદ છે કે, સાસુ-સસરા નાની નાની બાબતે દીકરીને પરેશાન કરતા હોવાથી ગત 4 ફેબ્રુઆરીએ તે પતિને મળવા હોસ્પિટલ ગઈ હતી. જોકે, પતિએ તેની સાથે મારઝૂડ કરીને હોસ્પિટલમાંથી કાઢી મૂકી હતી. આ પછી તેમની દીકરી માનસિક તણાવમાં રહેતી હતી. તેમજ કોઈની સાથે વાત પણ કરતી નહોતી. થોડા દિવસ પહેલા દીકરીએ તેના પતિનો જન્મ દિવસ ધાબા પર ઉજવ્યો હતો. જેથી સાસુ-સસરા નારાજ થયા હતા.
અવારનવાર શારીરિક સબંધ બાંધ્યા બાદ મહિલાને કાઢી મુકી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. ઘાટલોડિયા પોલીસ મથકે ડોક્ટર હિતેન્દ્ર અને તેના માતા પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. યુવતીના પિતાએ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવ્યો છે.