આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં એક રીક્ષા ચાલકને ટિકિટ આપી છે. શહેરના રખિયાલ-સરસપુર વોર્ડમાં રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટીકિટ આપી છે.
તસવીરઃ મુનવર હુસૈન શેખ
અમદાવાદઃ ગુજરાતની 6 મનપાની ચૂંટણી 21મી ફેબ્રુઆરીએ યોજાવાની છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા અમદાવાદમાં એક રીક્ષા ચાલકને ટિકિટ આપી છે. શહેરના રખિયાલ-સરસપુર વોર્ડમાં રિક્ષાચાલક મુનવર હુસૈન શેખને ટીકિટ આપી છે. મળતી વિગતો પ્રમાણે, મુનવર હુસૈન શેખ 2015માં આપમાં જોડાયા હતા. આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટેના ઉમેદવારનું લિસ્ટ જાહેર કર્યું ત્યારે એક ઇ-મેલ આઇડી પણ જાહેર કર્યું છે. જેના પર લોકો આપના ઉમેદવાર વિશે કોઈ માહિતી કે પછી આપના ઉમેદવાર અંગે કોઈ ખામી હોય તો તે પણ જણાવી શકે છે. જેથી પાર્ટી ખામી વાળા ઉમેદવારને બદલી શકે. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં કોર્પોરેશન અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉમેદવારોનું પહેલું લિસ્ટ આમ આદમી પાર્ટીના દિલ્હીના ધારાસભ્ય આતિશીજી દ્વારા અમદાવાદમાં જાહેર કરાયું હતું. સુરત, નર્મદા, મોરબી, જામનગર, પાટણ, રાજકોટ શહેર, રાજકોટ જિલ્લાના કુલ 504 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ઉમેદવારોના જાહેર કરાયેલા લિસ્ટમાં 31 ટકા મહિલા ઉમેદવારો છે.