અમદાવાદઃ 20મે ના રોજ કોરોનાથી વધુ ૩૦ મોત ગુજરાતમાં થયા છે અને જેમાં ૨૬ મોત માત્ર અમદાવાદમાં  છે. જે સાથે અમદાવાદમાં મૃત્યુની સંખ્યા ૬૦૦ને પાર થઈ ગઈ છે અને  સમગ્ર રાજ્યમાં નોંધાયેલા કુલ ૭૪૯ મૃત્યુમાંથી ૬૦૨ મોત માત્ર અમદાવાદમાં નોંધાયા છે. અમદાવાદમાં રોજના સરેરાશે ૨૦થી૨૫ મૃત્યુ થઈ રહ્યા છે.


અમદાવાદમાં દિવસેને દિવસે મૃત્યુની સંખ્યા વધી રહી છે અને રાજ્યમા અન્ય તમામ જિલ્લા કરતા અમદાવાદમાં કોરોના કુલ કેસો વધુ થવા સાથે અને રોજના કેસ વધુ નોંધાવા સાથે મૃત્યુ પણ મોટી સંખ્યામાં નોંધાઈ રહ્યા છે. ૨૦મી સુધીના આંકડા મુજબ ગુજરાતમાં કુલ ૧૨૫૩૭ કેસ સામે ૭૪૯ મોત  થયા છે ત્યારે ૭૪૯ મોતમાં માત્ર અમદાવાદમાં ૬૦૨ મોત થયા છે.

અમદાવાદમાં રોજના ૨૦થી૨૫ મોત થઈ રહ્યા છે, જે  ગંભીર બાબત છે. અમદાવાદમાં હાલ કોરોનાના કુલ કેસનોં આંકડો ૯૨૧૬ પર પહોંચ્યો છે અને જેની સામે ૬૦૦થી વધુ મોત થતા અમદાવાદમાં મૃત્યુદર ૬.૫થી વધુ છે. દેશના ટોપ ૩૦ જિલ્લા કે જ્યાં સૌથી વધુ કોરોનાના કેસો છે અને કોરોના સંક્રમણ વધુ ફેલાયો છે તે જિલ્લાના આંકડા મુજબ અમદાવાદ દિલ્હીને ડિસ્ટ્રિકટ ગણતા ત્રીજા નંબરે પરંતુ જો દિલ્હીને સ્ટેટ તરીકે ગણાય તો અમદાવાદ બીજા નંબરે છે.

અમદાવાદમાં કોરોનાના કેસ અને ખાસ કરીને મૃત્યુની સંખઅયા ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહી છે. અમદાવાદમાં સરકાર રીકવરી રેટ વધારી રહી છે પરંતુ બીજી બાજુ ડેથ રેટ કાબુમાં નથી લાવી શકતી.