અમદાવાદઃ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભડકો થયો છે. અમદાવાદ કોર્પોરેશનમાં વિપક્ષના નેતા દિનેશ શર્માએ રાજીનામું આપ્યા પછી ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે, આવનારા દિવસોમમાં કોંગ્રેસને બાનમાં લેનાર નેતાઓને ખુલ્લા પાડવાની દિનેશ શર્માએ ચીમકી ઉચ્ચારી છે. તેમણે આક્ષેપ લગાવ્યો છે કે, અમદાવાદ કોંગ્રેસના ચાર ધારાસભ્યો બે જૂથમાં વહેંચાયા છે. કેટલાક નેતાઓની કરતૂતોના કારમે કોંગ્રેસ તૂટવા જઈ રહી છે.


પાર્ટી તૂટવા જઈ રહી હોવાનો ખુદ અમદાવાદ કોંગ્રેસના નેતા દિનેશ શર્માએ દાવો કર્યો છે. તેમણે પક્ષના કેટલાક નેતાઓની નીતિને કારણે અનેક કાર્યકરો નિષ્ક્રિય થઈ ગયા હોવાનો દાવો પણ કર્યો છે. કેટલાક નેતાઓે તેમના વગર કોંગ્રેસ નહીં ચાલે તેવું પ્રદેશ અને કેન્દ્રીય નેતૃત્વ સમક્ષ ચિત્ર રજૂ કર્યું છે.



દિનેશ શર્માએ જણાવ્યું હતું કે, હું કોંગ્રેસના તમામ કાર્યકરોને કહેવા માગું છું કે, હું કોઈ મોરચો નહીં, પરંતુ જે લોકોએ વર્ષો સુધી કોંગ્રેસ પાર્ટીના સંગઠનને મજબૂત કરવા માટે, કોંગ્રેસને સત્તા સ્થાને બેસાડવા માટે અને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડવાનું કામ કર્યું છે, તેવા લોકો આજે કેટલાક લોકોની કામ કરવાની રીતિ અને નીતિના કારણે સુષુપ્ત અવસ્થામાં ઘરે બેઠા છે અને જે લોકો છેલ્લા 15 વર્ષથી અમદાવાદ શહેરને બાનમાં લીધું છે, એ લોકોએ હર હંમેશા પ્રદેશ હોય કે દિલ્લીનું મોવડી મંડળ, એમને એવું બતાવ્યું છે કે, અમારા વગર અમદાવાદ કોંગ્રેસ નથી ચાલી શકતી. પરંતુ એ લોકોએ પણ સમજવું જોઇએ-પ્રદેશ મોવડી મંડળે પણ એ સમજવું જોઇએ કે, છેલ્લા 15 વર્ષથી જે લોકોએ અમદાવાદ કોંગ્રેસને બાનમાં લીધું છે, એ લોકોના જ કારણે 15 વર્ષથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ સત્તાથી બહાર છે.



તેમણે જણાવ્યું હતું કે, એમની રીતિ અને નીતિને કારણે અદનો સૈનિક-અદનો કાર્યકર આજે ઘરે બેઠો છે. એવા તમામે તમામ આગેવાનો-કાર્યકરો સાથે સંપર્ક કરીને એમને એક મંચ ઉપર લાવીને કોંગ્રેસને મજબૂત કરવાની દિશામાં કામ કરીશું. જે લોકો પણ કોંગ્રેસને તોડવાનું કામ કરી રહ્યા છે, એવા તમામે તમામ આગેવાનોને કોંગ્રેસનો એક-એક કાર્યકર ઓળખે છે. આ કાર્યકર્તા દુઃખી છે. એને એવું લાગી રહ્યું છે કે, અમે અમારો ખુન-પશીનો રેડીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છીએ, પરંતુ કેટલાક આગેવાનોને કારણે અમે સત્તાથી દૂર બેઠા છીએ. આજે પણ અમે વિરોધમાં બેઠા છીએ. જેને કારણે ધીમે ધીમે પાર્ટી તૂટવા જઈ રહી છે, તેવું સ્પષ્ટ દેખાય રહ્યું છે.



તેમણે ઉમેર્યું હતું કે, હું 15 વર્ષથી લોકનેતા છું. લોકોએ વારંવાર મને ચૂંટીને મોકલ્યો છે અને કામ કરવાની તક આપી છે. એટલે સ્વાભાવિક છે કે, ચોક્કસથી હું એક લોક નેતા છું. પરંતુ મારે કોંગ્રેસ પાર્ટી કે મારા ઘરમાં કોઈ શક્તિપ્રદર્શન નથી કરવું. પણ મારા ઘરને મજબૂત કરવા માટે , કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવા માટે અમદાવાદ શહેરમાં રહેતા તમામે તમામ કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલરો છે, પૂર્વ પ્રમુખો છે, પૂર્વ ચેરમેનો છે કે જે છેલ્લા કેટલાક વર્ષોથી નિશ્ચિત નેતાઓના કારણે અને તેમની અવગણનાને કારણે આજે ઘરે બેઠા છે, તેમની ઇચ્છા કે કોંગ્રેસ પાર્ટી માટે કામ કરવું છે. કોંગ્રેસને મજબૂત કરવી છે. પરંતુ નિશ્ચિત લોકો પોતાની મનમાની કરવા માટે ટેવાયેલા છે. તેના કારણે એ લોકો આજે તેઓ ઘરેથી નથી નીકળતા. આવનારા સમયમાં આવા લોકોને અમે ખુલ્લા પણ પાડીશું. આવા લોકો જે કોંગ્રેસ પાર્ટીને બાનમાં લઈ રહ્યા છે, તેમાંથી પણ તેમને છોડાવીશું.