અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાવાયરસના ચેપના કેસોની સંખ્યા વધતી જાય છે અને નેતાઓ પણ કોરોનાની ઝપટે ચડી રહ્યા છે. એક કમનસીબ ઘટનામાં અમદાવાદ કોંગ્રેસના નેતા સિરાઝખાન પઠાણનું મંગળવારે સાંજે કોરોનાના કારણે મોત નિપજ્યું હતું.


બહેરામપુરાના પૂર્વ કાઉન્સિલર સિરાઝખાન પઠાણનો કોરોના ટેસ્ટ મંગળવારે પોઝિટિવ આવ્યો હતો. સિરાઝખાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા પણ સાંજે તેમનું નિધન થઈ ગયું હતું. સિરાઝખાન પઠાણના ભાઈ હાલ બહેરામપુરા વિસ્તારના કાઉન્સિલર છે. સિરાઝખાન ઓક્ટ્રોય કમિટી ચેરમેન પણ રહી ચૂકયા છે.

બહેરામપુરા કોરોનાવાયરસના નવા હોટ સ્પોટ તરીકે ઉભરી રહ્યું છે. બહેરામપુરામાં વધતા જતા કોરોનાવાયરસના ચેપના કેસ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) માટે ચિંતાનો વિષય બન્યા છે. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં વિપક્ષના ભૂતપૂર્વ નેતા બદરુદ્દીન શેખના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવતાં બંને અત્યારે સારવાર હેઠળ છે ત્યારે કોંગ્રેસના એક નેતાએ કોરોનાના કારણે જીવ ગુમાવતાં ચિંતાનો માહોલ છે.