અમદાવાદઃ અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. તેમજ મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. ત્યારે મૂળ સાણંદના અને અમદાવાદમાં રહેતા 78 વર્ષીય વૃદ્ધાએ પોતાનું વેન્ટિલેટર છોડીને અન્ય વ્યક્તિનો જીવ બચાવ્યો છે. 


મૂળ સાણંદના બ્રહ્મપોળના રહેવાસી રાજેન્દ્રભાઇ ત્રિવેદી વર્ષ 1998માં અમદાવાદના વાસણા ખાતે નંદન સોસાયટીમાં શિફ્ટ થયા હતા. ગત તા.29 એપ્રિલે રાજેન્દ્રભાઇના માતા ભાનુમતીબેન પ્રવિણચંદ્ર ત્રિવેદીને કોરોનાની સારવાર અર્થે અમદાવાદ સોલા સિવિલમાં ખસેડાયા હતા.


ગત 5 મેના રોજ ભાનુમતીબેનની તબિયત વધુ લથડતા સોલા સિવિલ હોસ્પિટલના તબીબે રાજેન્દ્રભાઈને જણાવ્યું કે ભાનુમતીબેનના ફેફસા વધારે ડેમેજ હોવાથી વેન્ટિલેટર બેડ જોઈશે અને સદનસીબે એ જ દિવસે સાંજે વેન્ટિલેટર બેડની વ્યવસ્થા થઇ પણ ગઈ. 


ભાનુમતીબેનને તો વેન્ટિલેટર મળી ગયું, પરંતુ એક 55 વર્ષીય આધેડ કે જેઓ પરિવારના મોભી હતા, તેમને વેન્ટિલેટરની જરૂર ઉભી થઈ. આથી ડોક્ટરે રાજેન્દ્રભાઈને આ અંગે વાત કરી હતી અને કહ્યું હતું કે, 55 વર્ષીય આધેડને સમયસર વેન્ટિલેટર નહીં મળે તો તેઓ બચી નહીં શકે. જો તેમના માતા વેન્ટિલેટર છોડવા તૈયાર થાય તો ઘરના એક મોભીની જિંદગી બચી જાય તેમ છે. 


આ અંગે રાજેન્દ્રભાઈ માતાને વાત કરતાં તેઓ તરત તૈયાર થઈ ગયા હતા. તેમજ તેમણે કહ્યું હતું કે, જો 55 વર્ષીય વ્યક્તિનો જીવ બચતો હોય તો મારે વેન્ટિલેટર નથી જોતું. આ પછી પરિવારના સભ્યોએ પણ હા કહેતા તેમણે વેન્ટિલેટર છોડી દીધું હતું અને આધેડનો જીવ બચાવી બાએ પણ બુધવારે દેહ છોડ્યો હતો.