અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસોની (Gujarat Corona Cases) સંખ્યા વધી રહી છે અને રાજ્યમાં સૌથી વધુ કોરોનાના નવા કેસ અમદાવાદમાં (Ahmedabad Corona Cases) નોંધાઈ રહ્યા છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ (Coronavirus) રોકવામાટે સંખ્યાબંધ પગલાં લેવાઈ રહ્યાં છે. તેના ભાગરૂપે અમદાવાદ શહેરમાં આગામી નિર્ણય ના લેવાય ત્યાં સુધી પાનના ગલ્લા (Pan Shops) અને ચાની લારી-દુકાનો (Tea Stalls) બંધ રાખવાની જાહેરાત કરાઈ છે.


અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (Ahmedabad Municipal Corporation) દ્વારા શહેરમાં તમામ પાનના ગલ્લા અને ચાની લારી-દુકાનો  બંધ કરવા આદેશ અપાયો છે. હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મૌખિક સૂચના આપવામાં આવી છે અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સૂચના બાદ પણ એકમ ચાલુ હશે તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દ્વારા પાનના ગલ્લા તથા ચાની લારી-દુકાન સીલ કરી દેવાશે.


કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે આજથી અનિશ્ચિત સમય સુધી પાનના ગલ્લા અને ચા ની લારીઓ ખોલી શકાશે નહીં એવી જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ ચાની દુકાનો પર ભીડ જામે છે. આ ઉપરાંત ચાના કપ યોગ્ય રીતે સાફ થતા ન હોવાની પણ શક્યતાઓ છે. એક સ્થળ ઉપર પાંચથી છ લોકો ટોળે વળીને બેઠેલા હોય છે. આ  સંજોગોમાં સંક્રમણ વધુ ફેલાવવાની શક્યતાઓ રહેલી છે.


પાનના ગલ્લાઓ ઉપર મુખ્ય ગલ્લાધારક સંક્રમિત હશે તો તે અનેક લોકોને સંક્રમિત કરી શકે તે પ્રકારની સંભાવનાઓ પણ રહેલ હોવાના પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેરાત કરાઈ છે કે, સોમવાર સુધી પાનના ગલ્લાઓ પર ચેકીંગ કર્યા બાદ મૌખિક સૂચના આપવામાં આવશે છતાં પણ ગલ્લા ખુલ્લા રાખવામાં આવશે તો ગલ્લા સીલ કરવામાં આવશે.


આ અંગે હર્ષદ  સોલંકી (ડાયરેકટર, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ)એ જણાવ્યું કે, શનિવારે AMC દ્વારા ચેકીંગ બાદ રવિવારે પણ પાનના ગલ્લાઓ ઉપર ચેકીંગ કરવામાં આવ્યા હતા,  જ્યાં એક પણ ગલ્લા ખુલ્લા જોવા ન મળ્યા. અમદાવાદના તમામ ઝોનમાં સવારના 10 વાગ્યાથી રાઉન્ડ મારવામાં આવી રહ્યા છે.જ્યાં પણ ગલ્લા ખુલ્લા હશે ત્યાં સૂચના આપવામાં આવશે.