Ahmedabad Covid-19 Update: દેશની સાથે અમદાવાદમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં 36 કલાકમાં 10 દર્દીઓ દાખલ થયા છે. કોરોના સંક્રમિત થયેલા 10 દર્દીઓ પૈકી 7 દર્દીઓ ઓક્સિજન ઉપર સારવાર હેઠળ છે. મોટાભાગના દર્દીઓને બુસ્ટર ડોઝ બાકી હોવાનું સામે આવ્યું છે. મેં મહિનામાં કેસ ઘટવા લાગતા સિવિલ હોસ્પિટલમાં કોરોના વોર્ડ બંધ કરાયો હતો પરંતુ જૂનના અંતમાં કોરોના કેસ વધતા ફરી આ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે.


અમદાવાદમાં શું છે કોરોનાની સ્થિતિ


અમદાવાદમાં શનિવારે કોરોનાના દૈનિક કેસમાં સામાન્ય ઘટાડો થયો હતો. શહેરમાં કોરોનાના નવા 229  કેસ નોંધાયા હતા અને 163 દર્દીએ કોરોનાને મ્હાત આપી હતી. નદીપારના વિસ્તાર ઉપરાંત શહેરના  અન્ય ઝોન વિસ્તારમાં પણ કોરોનાના એકિટવ કેસની સંખ્યા વધી રહી હોવાથી મ્યુનિ.હેલ્થ વિભાગ તરફથી જે લોકોને કોરોના વેકિસન લેવા અપીલ કરાઈ છે.


શહેરમાં કેટલા છે એક્ટિવ કેસ


શહેરમાં જુન મહિનાથી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.હાલમાં કોરોનાના કુલ એકિટવ કેસ 1350થી પણ વધી ગયા છે.નદીપારના નવરંગપુરા,પાલડી ઉપરાંત બોપલ,જોધપુર સહિતના વોર્ડમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. માર્ચ-2020થી  અમદાવાદ શહેર અને ગ્રામ્યમાં કોરોના મહામારીનો સમય શરુ થયા બાદ અત્યાર સુધીમાં કોરોનાના કુલ 3,88,992 કેસ નોંધાવા પામ્યા છે.અત્યાર સુધીમાં કુલ 3,83,889 લોકો કોરોનામુકત થયા છે.અત્યાર સુધીમાં કુલ 3620 લોકોના કોરોના સંક્રમિત થવાથી મોત થયા છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


જુલાઈ મહિનામાં સતતત ત્રીજા દિવસે 16 હજારતી વધુ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 16,103 નવા કેસ નોંધાયા અને 31 સંક્રમિતોના મોત થયા  હતા. જ્યારે 13,929 સંક્રમિતો સાજા થયા હતા.  એક્ટિવ કેસ 1.11 લાખને પાર થયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 4.27 ટકા છે.  શનિવારે 17092નવા કેસ નોંધાયા અને 19 સંક્રમિતોના મોત થયા હતા. દેશમાં એક્ટિવ કેસ 1,11,711 પર પહોચ્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,25,199  થયો છે. અત્યાર સુધીમાં 4,28,65,516 લોકો કોરોના સામે જંગ જીત્યા છે. દેશમાં રસીકરણનો આંક 197,95,72,963 થયો છે, જેમાંથી ગઈકાલે 10,10,652 ડોઝ આપવામાં આવ્યા હતા.