અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસે કહેર વર્તાવ્યો છે. આજે એક જ દિવસમાં 1409 કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જ્યારે આ જીવલેણ વાયરસથી 14 લોકોનાં મોત થયા હતા. અમદાવાદ શહેરમાં કોરોના બેકાબૂ થતા માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા 350 પર પહોંચી ગઈ છે. થલતેજ સ્થિત સનરાઈઝ પાર્કની આખી સોસાયટી માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં જાહેર કરાઈ છે. સનરાઈઝ પાર્કના 800 રહીશો માઇક્રો કન્ટેનમેન્ટઝોન હેઠળ. જ્યારે બોડકદેવ સ્થિત ઇસ્કોન પ્લેટીંનમ સોસાયટીમાં 700 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ. બોડકદેવ સ્થિત મોહિની ટાવરમાં 220 નાગરિકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં છે. નવા 31 ઝોન ઉમેરાયા છે.
અમદાવાદ શહેરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે.. ત્યારે હવે સરકારી હોસ્પિટલો બાદ ખાનગી હોસ્પિટલો પણ હાઉસફૂલ થઈ જવાની આરે છે. AHNAએ દાવો કર્યો છે કે, અમદાવાદમાં કોરોનાની 135 ખાનગી હોસ્પિટલમાં 30 હોસ્પિટલો ફૂલ થઈ ગઈ છે માત્ર 751 બેડ ખાલી છે.
ગુજરાતમાં શું છે કોરોનાની સ્થિતિ
રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus) ની બીજી લહેર વધુ ઘાતક બની છે. દરરોજ રેકોર્ડબ્રેક કોરોના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સૌથી વધુ 5011 નવા કેસ નોંધાયા છે. જ્યારે વધુ 49નાં મૃત્યુ થયા છે. આજે નોંધાયેલા કેસ અત્યાર સુધીમાં એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ કેસ છે.
રાજ્યમાં આજે 2525 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેની સાથે અત્યાર સુધી 312151 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 2500ને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 25129 પર પહોંચ્યો છે. જેમાંથી 192 લોકો વેન્ટિલેટર પર અને 24937 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 91.27 ટકા છે.
ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં નોંધાયેલા કેસ અને મોત
| તારીખ | નોંધાયેલા કેસ | મોત |
| 10 એપ્રિલ | 5011 | 49 |
| 9 એપ્રિલ | 4541 | 42 |
| 8 એપ્રિલ | 4021 | 35 |
| 7 એપ્રિલ | 3575 | 22 |
| 6 એપ્રિલ | 3280 | 17 |
| 5 એપ્રિલ | 3160 | 15 |
| 4 એપ્રિલ | 2875 | 14 |
| 3 એપ્રિલ | 2815 | 13 |
| 2 એપ્રિલ | 2640 | 11 |
| 1 એપ્રિલ | 2410 | 9 |
| કુલ કેસ અને મોત | 34,382 | 227 |
કેટલા લોકોએ લીધી રસી
વેક્સિનેસન (vaccinations) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 78,71,091 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 10,31,634 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આમ કુલ- 89, 027,25 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.