અમદાવાદઃ દિવાળીના તહેવોર પછી કોરોનાનું સંક્રમણ વધ્યું છે, ત્યારે સૌરાષ્ટ્ર તરફથી આવતા મુસાફરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પાસે AMC દ્વારા મુસાફરોના કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. સનાથલ સર્કલ પર દરરોજ 700થી 800 લોકોના ટેસ્ટ કરવામાં આવે છે.


દરરોજ થતા ટેસ્ટ પૈકી 7થી 8 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવે છે. સનાથલ સર્કલ ખાતે થતા ટેસ્ટમાં 100એ 1 વ્યક્તિ પોઝિટિવ આવે છે. આજે સવારના 11.30 વાગ્યા સુધી 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, 60 પૈકી એકપણ વ્યક્તિ 11.30 વાગ્યા સુધી પોઝિટિવ ન જણાઈ.

વસ્ત્રાપુર ખાતે AMC દ્વારા કોરોનાના ટેસ્ટ માટે બે ડોમ ઉભા કરાયા છે. આજે મંગળવારે સવારે 10 વાગ્યાથી 10.30 વાગ્યા સુધીમાં બે ડોમમાં કુલ 25 લોકોના ટેસ્ટ થયા અને 25 પૈકી 12 કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. વસ્ત્રાપુરના એક ડોમમાં દરરોજ 100 લોકોના ટેસ્ટ થાય છે અને તેમાંથી દરરોજ સરેરાશ 60થી 70 લોકો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે, અમદાવાદીઓમાં કોરોના મહામારી અંગે હવે પહેલા કરતા જાગૃતિ પણ વધી છે. જેના કારણે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા લાંબી લાઈન લગાવી રહ્યા છે. AMC દ્વારા જે વિસ્તારમાં લોકો વધારે ટેસ્ટ કરાવે છે ત્યાં બે ડોમ ઉભા કરીને વ્યવસ્થા કરવામાં આવી છે.