અમદાવાદ: રથયત્રાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ત્યારે અમદાવાદ સાઈબર ક્રાઈમની ટીમે મહારાષ્ટ્રના ભિવંડીમાં એક ઓપરેશન પાર પાડીને સિમ બોક્ષની મદદથી ચાલતું કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. આ કોલ સેન્ટરમાંથી લોકલ કોલને ઈન્ટરનેશનલ અને ઈન્ટશનલ કોલને લોકલ નંબર પરથી ડાયવર્ટ કરવામાં આવતા હતા. આ સિમ બોક્ષમાંથી ડાયવર્ટ થયેલા કોલ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતુ. 


સાઈબર ક્રાઈમમાં અને લોફૂલ એક્ટિવિટી અંગે ગુનો નોંધવામાં આવ્યો હતો. આતંકવાદી ગતિવિધીમાં ઉપયોગમાં લેવાતું કોલ સેન્ટર ભિવંડીમાંથી ચાલતું હોવાની બાતમી સાઈબર ક્રાઈમને મળી હતી. જેના આધારે સાઈબર ક્રાઈમની ટીમ ભીવંડી પહોંચી હતી. ત્યાંથી સિમ બોક્સ દ્વારા ચાલતું કોલ સેન્ટર પોલીસે પકડી પાડ્યું હતું.  પોલીસ અધિકારીઓનું કહેવું છે કે આ સિમ બોક્ષનો ઉપયોગ આતંકવાદી પ્રવૃત્તિ માટે કરવામાં આવતો હતો. બન્ને ઓપરેટરોને પણ ઝડપી લીધા હતા. એરટેલ અને બીએસએનએલના 605 સીમ કાર્ડ મળી આવ્યા હતા. અને ત્રણ રાઉટર પણ મળી આવ્યા હતા. બન્ને આરોપીઓ કેર ટેકર હતા, મુખ્ય આરોપીને પકડવાનો બાકી છે.


ડોક્ટર અતુલ ચગ આત્મહત્યા મામલે મોટા સમાચાર


જાણીતી ડોક્ટર અતુલ ચગની આત્મહત્યાના કેસને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન કોર્ટે નામંજૂર કર્યા છે.  વેરાવળના નામાંકિત તબીબ અતુલ ચગ આત્મહત્યા પ્રકરણ મામલો સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ધ ટાઉન બન્યો હતો. જે સંદર્ભે વેરાવળ પોલીસ સ્ટેશનમાં નારણભાઈ ચુડાસમા તેમજ તેમના પુત્ર સાંસદ રાજેશ ચુડાસમા વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારે ગઈકાલે વેરાવળ સેશન્સ કોર્ટમાં નારણભાઈ ચુડાસમા દ્વારા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. આજે કોર્ટે નારણભાઈ ચૂડાસમાના આગોતરા જામીન ના મંજૂર કર્યા છે.


માત્ર 8 વર્ષની બાળકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરતા અરેરાટી


નવસારી: વાલીઓ માટે ચેતવણીરુપ કિસ્સો સામે આવ્યો છે. ચીખલીના ખૂંધ ગામે 8 વર્ષીય બાળાએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા અરેરાટી મચી જવા પામી છે. શના મુરીમાં ધોરણ 3 માં અભ્યાસ કરતી બાળકીએ અંતિમ પગલું ભર્યું છે. આ બાળકી રાજકોટથી ચીખલી નાનાને ત્યાં વેકેશન ગાળવા આવી હતી. માતાએ ઠપકો આપતાં આવેશમાં આવી તેને ડરાવવા માટે એક રૂમમાં ઓઢણી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હતું. ચીખલી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી છે. મોબાઈલના વળગળને કારણે કૂમળી વયના બાળકોએ સહન શક્તિ ગુમાવી છે.


પિતાએ બે સંતાનોની ગળું દબાવી હત્યા કરી


દાહોદના ડુંગરીમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ડુંગરીમાં પિતાએ કરી પુત્ર અને પુત્રીની હત્યા કરી છે. ઘરકંકાસ અને સાસરીના ત્રાસથી કંટાળી પિતાએ તેના બન્ને સંતાનની ગળું દબાવી હત્યા કર્યા બાદ પોતે આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. વહેલી સવારે બન્ને સંતાનનું ગળુ દબાવી હત્યા કર્યા બાદ પોતે ઝાડ ઉપર લટકી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મૃતકમાં 12 વર્ષીય બાળકી અને 7 વર્ષીય બાળકની હત્યા કરી છે. યુવકે સ્યુસાઈડ નોટ લખી છે. લીમડી પોલીસે આરોપી પિતાની અટકાયત કરી તપાસ હાથ ધરી છે. બન્ને બાળકોના મૃતદેહ ને પી.એમ અર્થે ખસેડાયા છે.