અમદાવાદઃ શહેરના પોશ વિસ્તાર થલતેજમાં એનઆરઆઇ પટેલ દંપતીની હત્યા થઈ જતા ચકચાર મચી ગઈ છે. થલતેજના શાંતિ પેલેસ બંગ્લોઝમાં સવારના સમયે જ દંપતીની હત્યા થઈ જતાં ચકચાર મચી ગઈ છે. આ અંગે જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ ઘટનાસ્થળે દોડી આવી છે અને પંચનામું હાથ ધરાયું છે.


અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને જ્યોત્સનાબેન અશોકભાઈ પટેલની સવારે ગળું કાપી ને હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં દંપતીની દીકરી અને અન્ય સંબંધીઓ દોડી આવ્યા હતા. દીકરીના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. દંપતીની દીકરીએ રડતા રડતા જણાવ્યું હતું કે, મારા ફાધર કાલે મારા ઘરે આવ્યા હતા. આ સિવાય મારે કોઈ વાત નથી થઈ. આજે સવારે 8.30 વાગ્યે આવું બન્યું હોવાની ખબર પડી. ઘરમાં મિસ્ત્રી કામ અને કલર કામ ચાલું હતું. રાતે 10 વાગ્યા સુધી મિસ્ત્રી કામ ચાલું હોવાનું પાડોશીઓએ જણાવ્યું હતું. એટલું જ નહીં, વહેલી સવારે પિતાજીએ એક્ટિવા સાફ કર્યું. સવારે ચા બનાવી, સિક્યુરિટી ગાર્ડને ચા આપી હતી.

અશોકભાઈ કરશનદાસ પટેલ (૭૧) અને તેમના પત્ની જ્યોત્સનાબેન એનઆરઆઇ છે. તેમના પરિવારમાં દીકરી અને પુત્ર હેતાર્થ છે. દીકરી મેઘાબેન અમદાવાદના નારણપુરામાં તેના પરિવાર સાથે જ રહે છે, જ્યારે પુત્ર હેતાર્થ દુબઈ રહે છે. આ દંપતી પણ 3 મહિના અમદાવાદ અને 3 મહિના દુબઈ રહે છે.

લૂંટના ઇરાદે હત્યા થઇ હોવાની આશંકા હાલ સેવવામાં આવી રહી છે. સિનિયર સીટીઝન દંપતીના મૃતદેહ સવારે ઘરમાંથી જ મળ્યા છે. ચોરી કે લૂંટના ઇરાદે હત્યાની શંકાથી પોલીસે તપાસ શરૂ કરી છે. ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર સવારે 5.30 કલાકે ચા પીવા ઉઠ્યા હતા. સ્થાનિકોના મતે સવારે 8 થી 8.30 માં ઘટના બની છે.