અમદાવાદઃ ગોતામાં ૨૯ વર્ષીય પરિણીતાએ સાસરીયાઓના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો હતો. યુવતીની સૂસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં તેમણે સાસરીવાળાના ત્રાસથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે. પરિણીતાના પિતાએ આ અંગે સોલા પોલીસ સ્ટેશનમાં દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


ઘાટલોડીયામાં રહેતી યુવતીના એરેન્જ વિથ લવ મેરેજ ગોતામાં રહેતા યુવક સાથે થયા હતા. લગ્નના છ મહિના બાદ જ સાસરીવાળા યુવતીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરુ કરી દીધું હતું. પરિણીતાના સસરાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું હતું. લગ્ન પહેલા પતિએ શાહીબાગમાં મકાન હોવાનું કહ્યું હતું. 


જોકે, યુવતીને પછી ખબર પડી હતી કે, તેના સાસુને જેની સાથે અનૈતિક સંબંધ છે તેની સાથે મકાન ભાગમાં રાખેલું છે તેમજ રોજ રાત્રે સાસુ મોડા આવતા હતા અને રાત્રે ત્યાં જ રોકાતા હતા. યુવતી ગર્ભવતી થતા સાસુનો ત્રાસ વધી ગયો હતો. જેથી તેણે પતિ સાથે અલગ રહેવાનું નક્કી કર્યું હતું. અલગ રહેવા સામાન શિફ્ટ કરવા યુવતીની માતા અને બહેન આવ્યા હતા. 


આ સમયે સાસુએ યુવતીને અશ્લીલ ગાળો આપી હતી. જ્યારે પતિએ પણ માતાનો પક્ષ લઈને ઢોર માર મારી ઘરમાંથી કાઢી મૂકી હતી. જોકે, પિતા સમજાવી ફરી તેને સાસરે મૂકી ગયા હતા. આ પછી પતિએ એબોર્શન કરાવી નાંખ્યું હતું અને પછી પણ ઝઘડો કરતો હતો. આમ, પતિ અને સાસરીવાળાથી કંટાળી યુવતીએ ફિનાઇલ પી લીધું હતું. 


એટલું જ નહીં, સાસુનો પ્રેમી પણ તેમની સાથે રહેતો હોવાથી ઝઘડા થતાં હતા. આટલું ઓછું હોય તેમ દિયરને દેવું થઈ જતાં યુવતીના ઘરેણા વેચી દેવું ભર્યું હતું. તેમજ દેહજમાં 15 લાખ રૂપિયાની માંગણી કરી હતી. તો દિયર મિત્રોને ઘરે બોલાવી દારૂ અને હુક્કા પાર્ટી  કરતો હતો અને ભાભી પાસે બધું સાફ કરાવતો હતો. આમ, આ બધાથી કંટાળી યુવતીએ ગત 10 જુલાઇએ ગળેફાંસો ખાઈ લીધો હતો.