Ahmedabad fair price shops: દેશનાં ૪ રાજ્યોમાં ૬૦ વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ જન પોષણ કેન્દ્ર યોજનાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ૫૦ ટકાથી વધુ પોષણયુક્ત અને પૌષ્ટિક વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેથી વેપારીની આવકમાં વધારો થશે અને લોકો પોષણયુક્ત વસ્તુઓ સીધી ખરીદી શકશે તેમજ લોકોમાં પૌષ્ટિક વસ્તુઓને લઈને જાગૃતિ આવશે.


આ પ્રોજેકટ અંતર્ગત અમદાવાદ શહેરની કુલ ૧૫ સરકારમાન્ય વાજબી ભાવની દુકાનોને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે. આવનારા સમયમાં રાજ્યનાં વિવિધ શહેર અને જિલ્લાઓમાં પણ તબક્કાવાર જન પોષણ કેન્દ્રનો પ્રારંભ થશે. વાજબી ભાવની દુકાનો (FPS)ને જન પોષણ કેન્દ્રમાં પરિવર્તિત કરવામાં આવી છે, તેનો લાભ ગ્રાહકોને જ નહિ દરેક દુકાનદારને પણ મળવાનો છે. એટલું જ નહીં અમૂલની પ્રોડક્ટ પણ આ દુકાનમાં મળતી થશે. આમ, આ યોજના અંતર્ગત દુકાનદારોની આવકમાં પણ વધારો થશે.

ભારતના ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગ દ્વારા વાજબી ભાવની દુકાનો (FPS)ને 'જન પોષણ કેન્દ્ર'માં પરિવર્તિત કરવાના પાઇલટ પ્રોજેકટનો દિલ્હી ખાતેથી કેન્દ્રીય મંત્રી પ્રલ્હાદ જોશી દ્વારા શુભારંભ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં સાબરમતી વિસ્તારમાં 'જન પોષણ કેન્દ્ર'ના ઉદ્ઘાટનમાં કેન્દ્રીય મંત્રી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા તો ગુજરાત રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના રાજ્ય મંત્રી ભીખુસિંહજી પરમાર રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા.


જન પોષણ કેન્દ્ર યોજના


ભારત સરકારના ફૂડ એન્ડ પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન વિભાગ દ્વારા ફેર પ્રાઈઝ શોપ્સ (એફપીએસ)ને ‘જન પોષણ કેન્દ્ર (JPK)' માં પરિવર્તિત કરવા માટે પહેલ શરૂ કરી છે. આ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ વાજબી ભાવના દુકાનદારોની ભૌતિક માળખાકીય, નાણાકીય સ્થિરતા વધારી શકે તેવા અને વાજબી ભાવની દુકાનેથી લાભાર્થીઓને પોષક તત્ત્વોથી ભરપૂર વસ્તુઓ પૂરી પાડી શકાય તેવા 'ન્યુટ્રીશન હબ' તરીકે વિકસાવવાનો સમાવેશ થાય છે. આ વાજબી ભાવની દુકાનો ખાતેથી ઘઉં અને ચોખા સિવાય અન્ય પૌષ્ટિક ચીજવસ્તુઓ જેમ કે વિવિધ કઠોળ, દૂધ, મસાલા, ખાદ્યતેલ વગેરેનું પણ વિતરણ થઈ શકે, એ આ પ્રોજેકટનો મુખ્ય ઉદ્દેશ છે.


પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ ચાર રાજ્યોમાં પ્રારંભ


ગુજરાત, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ અને તેલંગણા સ્માર્ટ  એફપીએસ સ્થાપિત કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરની કુલ ૧૫ વાજબી ભાવની દુકાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.


અમદાવાદ શહેરની પસંદગી પામેલ વાજબી ભાવની દુકાનો વિશે


અમદાવાદ શહેરની પસંદગી પામેલ વાજબી ભાવની દુકાનો ખાતે રીનોવેશન કરવામાં આવ્યું છે તથા કુલ ૧૫ દુકાનો પૈકી હાલ ૭ દુકાનદારઓ દ્વારા દુકાનોએ અમૂલની પ્રોડક્ટ્સના વેચાણ સબંધિત કામગીરી માટે ડિપોઝિટ ભરપાઈ કરી છે તથા કરારનામું કર્યું છે. અમૂલ તરફથી સબંધિત દુકાનદારોને ડીપફ્રીજ, ફ્રીજ, સાઈન બોર્ડ તથા માલસામાન પૂરો પાડવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા સ્મોલ ઇન્ડટ્રી ડેવલોપમેન્ટ બેન્ક ઓફ ઇન્ડિયા (SIDBI)ના માધ્યમથી સદર ૧૫ વાજબી ભાવના દુકાનદારને દુકાનના અપગ્રેડેશન માટે રૂા.૫૦,૦૦૦ ની ગ્રાન્ટ પાઇલોટ પ્રોજેક્ટ હેઠળ આપવામાં આવનાર છે. ઓનલાઈન પોર્ટલ પર ઓર્ડર આપનાર અમદાવાદ શહેરની વાજબી ભાવની દુકાનના ૫ (પાંચ) દુકાનદારોને SIDBI દ્વારા ગ્રાન્ટના પ્રથમ હપ્તા પેટે રૂ.૨૫,૦૦૦/  તેઓના બેંક એકાઉન્ટમાં જમા કરી દેવાયા છે,જ્યારે અન્ય દુકાનદારોની કાર્યવાહી પ્રગતિમાં છે.


દુકાનદારોને મહત્તમ રૂ..૫૦ લાખની મર્યાદામાં સહાય અપાશે


આ યોજનાના અંતર્ગત ભારત સરકારના SIDBI દ્વારા મહત્તમ રૂ.૫૦,૦૦૦ની સહાય કરવામાં આવશે. દુકાનદારો આ યોજનાને વધુ સારી રીતે આગળ વધારી શકે તે માટે હાલ ગુ.રા.ના.પુ. નિગમ દ્વારા સબંધિત ૧૫ દુકાનદારોને રૂ.૧ લાખની મર્યાદામાં સહાય કરવામાં આવી રહી છે, આમ રૂ.૧.૫ લાખ સુધીની સહાય દુકાનદારોને અપાશે.


આ પણ વાંચોઃ સીએમ યોગી અને યુપી BJP ચીફની સામે સાંસદે ખોલી નાખી પાર્ટીની 'પોલ', મંચ પરથી જ કર્યો મોટો દાવો