અમદાવાદ:  અમદાવાદના  હાટકેશ્વર બ્રિજને તોડવાનો  નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર એમ.થેન્નારસને પત્રકાર પરિષદ કરી આ અંગે જાણકારી આપી હતી.  આ મામલે રચવામાં આવેલી ત્રણ નિષ્ણાંતોની કમિટીએ સમગ્ર બ્રિજનો રીપોર્ટ તૈયાર કરીને મ્યુનિસિપલ કમિશ્નરને સોંપી દીધો છે. બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આ બ્રિજને તોડવાનો અને નવો બનાવવાનો તમામ ખર્ચ કોન્ટ્રાક્ટરે ભોગવવો પડશે.


અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર થેન્નારસને જણાવ્યું હતું કે  હાટકેશ્વર બ્રિજની એક્સપર્ટ કમિટીનો રિપોર્ટ આવ્યો છે. તે મુજબ મૂળ કારણ બ્રિજની ક્વોલિટી નબળી હતી. અમે તમામ ટેસ્ટ કરાવ્યા હતા. હવે ચાર પ્રકારના કામ થશે. કોન્ટ્રાક્ટર અને PMC કંપની બંને સામે પોલીસ ફરિયાદની કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચાર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામા આવ્યા છે. બ્રિજના મુખ્ય બે 42 મીટરના સ્પાન તોડવાની ભલામણ હોવાથી સુપર સ્ટ્રકચર તોડવામાં આવશે.