અમદાવાદઃ બહુચર્ચિત શિવરંજની હિટ એન્ડ રન કેસમાં શ્રમિક પરિવારને કચડનાર આરોપી પર્વ શાહને એક દિવસના રિમાન્ડ બાદ આજે ફરી કોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો. જોકે પોલીસે વધુ રિમાન્ડની માંગણી ન કરતાં આરોપીને જ્યુડિશલ કસ્ટડીમાં કોર્ટે હુકમ કર્યો હતો. 


ઉલ્લેખનીય છે કે શિવરંજનીના હિટ એન્ડ રન કેસમાં પર્વ શાહ વિરૂદ્ધ આઈપીસી કલમ 304 સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કર્યો છે. આ કલમ હેઠળ પર્વ શાહને આજીવન કેદ અથવા 10 વર્ષની સજા પણ થઇ શકે છે. ટ્રાફિક પોલીસે તપાસ કરતા પર્વ સાથે અકસ્માત સમયે જે કાર હતી, તેની નજીક પોલીસ પહોંચી ગઇ છે. 


હોમગાર્ડ અને અન્ય પોલીસ કર્મચારીઓ નિવેદનને લઇને તપાસ શરૂ કરાઇ છે. મહત્વનું છે ઘટના અંગેનું આરોપી પર્વ શાહને સાથે રાખી પોલીસે  રિકન્સ્ટ્રક્શન પણ કર્યું છે. બીજી બાજુ પર્વ અને તેના 3 મિત્રો કર્ફ્યૂમાં નીકળ્યા હોવાથી ચારેય સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી તેના ત્રણ મિત્રોની પણ ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ ત્રણેય મિત્રોની બે કલાક પૂછપરછ કરી પોલીસે પર્વ શાહ તથા તેના અન્ય 3 મિત્રોને પોલીસ સ્ટેશનમાં હાજર કર્યા હતા.

Ahmedabad hit and run case : આરોપી પર્વ શાહને કોર્ટમાં રજૂ કરાયો


અમદાવાદઃ શિવરંજની ચાર રસ્તા હિટ એંડ રનના કેસમાં આરોપી પર્વ શાહને એન ડિવિઝન ટ્રાફિક કોર્ટ સમક્ષ રજૂ કરાયો હતો. પોલીસ સ્ટેશનથી પર્વને કોર્ટમાં કરાશે રજુ કરાયો હતો. કોર્ટે આરોપી પર્વ શાહના કાલે બપોરે ૧ વાગ્યા સુધીમાં રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે.  આ કેસમાં પર્વ શાહની મુશ્કેલીમાં વધારો થયો છે. કોર્ટે પોલીસનો ૩૦૪ કલમ ઉમેરવાનો રિપોર્ટ મંજૂર રાખ્યો છે. પોલીસે તેના ત્રણ મિત્રોની પણ ધરપકડ કરી હતી. તેમજ તેમના નિવેદન લેવામાં આવ્યા હતા. 

શિવરંજની ચાર રસ્તા પર બનેલ હિટ એન્ડ રન કેસ મા સેટેલાઈટ પોલીસે જિલ્લા ગ્રામ્ય કોર્ટમાં આપ્યો રિપોર્ટ.  નજરે જોનારા સાક્ષી અને સીસીટીવી ફૂટેજના આધારે કલમ 304 નો ઉમેરો કરવા માટે કોર્ટની માંગી પરવાનગી. એફઆઇઆરમાં પોલીસે કલમ 304 (a) લગાવી છે , જે મુજબ આરોપીને બે વર્ષની સજા અને દંડની જોગવાઈ છે. જો કલમ ૩૦૪ ઉમેરવાની કોર્ટ પરવાનગી આપે તો આરોપીને દસ વર્ષથી લઈ આજીવન કેદની સજા થઇ શકે તેવી કાયદાકીય જોગવાઈ. કોર્ટ 304 ની કલમ ઉમેરવાની પરવાનગી આપે તો આ કેસની ટ્રાયલ સેશન્સ કોર્ટમાં ચલાવવી પડે તેવી કાયદાકીય સ્થિતિ.


શિવરંજની ચાર રસ્તા પર પૂરઝડપે દોડી આવેલી GJ 01RU 8964 નંબરની આઈ ટવેન્ટી કારના ચાલકે ફૂટપાથ પર સૂતેલા ચાર લોકોને કચડ્યા હતા. અકસ્માત એટલો ગંભીર હતો કે સંતુબેન ભાભોર નામના મહિલાનું ઘટનાસ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું. મહિલા પર કારના વ્હીલ ફરી વળતા ત્યાં જ દમ તોડી દીધો હતો. તો જતન ભાભોર, વિક્રમ ભાભોર, સુરેખબેન કાલુ, બાબુભાઈ ભાભોરને ઈજાઓ પહોંચી હતી. 


જોકે, આ અકસ્માત પછી અકસ્માત સર્જનાર પર્વ શાહ ફરાર થઈ ગયો હતો. જોકે, રાતે પર્વ શાહ સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો. પહેલા અકસ્માત શૈલેષ શાહે કર્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જોકે, હવે પર્વ શાહે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું હતું. પર્વ શાહ પોતાના 3 મિત્રો સાથે કાર ચલાવી રહ્યો હતો. સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાનું નિવેદન પોલીસને આપ્યું હતું. પર્વ 22 વર્ષીય છે અને તેની પાસે ડ્રાઇવિંગ લાયસન્સ હોવાનું પણ સામે આવ્યું હતું. 


તેના પિતા શૈલેષ શાહે જણાવ્યું હતું કે, અકસ્માત પછી પુત્ર પર્વ શાહ ઘરે આવ્યો હતો. પુત્રે સર્જેલા અકસ્માતથી પરિવાર ગભરાઈ ગયો હતો. અકસ્માતની ઘટનાનો ઘણો અફસોસ છે. તેમણે કહ્યું હતું કે, મને નહોતી ખબર કે પર્વ ઘરેથી કાર લઈને નીકળ્યો છે. અકસ્માત સર્જનાર પર્વ શાહનો પરિવાર કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે.