અમદાવાદઃ શહેરમાં એક જ પરિવારના ચાર સભ્યોની હત્યાકાંડમાં પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપી પતિની ધરપકડ કરી લીધી છે. ત્યારે આરોપી વિનોદ ગાયકવાડે પરિવારના સભ્યોની હત્યા મામલે ચોંકાવનારા ખુલાસા કર્યા છે. વિનોદે પત્નીના આડાસંબંધથી કંટાળી તેનું કાસળ કાઢવાનું નક્કી કર્યું હતું અને પ્લાન પ્રમાણે પત્નીને બેડરૂમમાં લઈ જઈ સરપ્રાઇઝ આપવાના બહાને આંખે પાટા બાંધી છરીના ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. જોકે, આ જ સમયે બહાર મોકલેલા દીકરો-દીકરી આવી જતાં તેમની પણ હત્યા કરી નાંખી હતી. પત્નીનો પક્ષ લેતી હોવાથી વડસાસુની પણ તેણે હત્યા કરી નાંખી હતી. જોકે, સાસુ પર દયા આવતાં તેમને છોડી દીધો હાવાનો ખુલાસો પણ વિનોદે કર્યો હતો. 


આ અંગેની વિગતો એવી છે કે, ઓઢવની દિવ્યપ્રભા સોસાયટીમાં રહેતા 40 વર્ષીય વિનોદ ગાયકવાડે પત્ની સોનલ (ઉં.વ.37), દીકરા ગણેશ(17) અને દીકરી પ્રગતિ(15) તથા વડસાસુ સુભદ્રાબેન(70)ની હત્યા કરી હતી. તે પ્રેમીની હત્યા કરે તે પહેલા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથ ઝડપાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે વિનોદની મધ્યપ્રદેશ પાસે દાહોદ બોર્ડર ઉપર એસ.ટી. બસમાંથી ધરપકડ કરી હતી. આ સમયે તે નશામાં હતો. પોલીસે ભાનમાં લાવી પૂછપરછ કરતાં તેના ચહેરા પર પશ્ચાતનો કોઈ ભાવ દેખાયો નહોતો. 


તેણે પોલીસને જણાવ્યું હતું કે, પત્ની સોનલ સાથે અનૈતિક સંબંધોને લીધે વારંવાર ઝઘડા થતા હોવાથી તેની હત્યા કરવાની યોજના ઘડી કાઢી હતી. ગત 26મીની રાતે પત્ની સોનલને સરપ્રાઈઝ આપવાના બહાને છરીના ઘા મારી દીધા હતા. પત્નીની હત્યા કરવા પુત્રને શ્રીખંડ લેવા અને પુત્રીને ગુટખા લેવા મોકલ્યાં હતાં. જોકે, બંને હત્યા સમયે આવી જતાં બંનેની હત્યા કરી નાંખી હતી. વડ સાસુ સુભદ્રાબહેન પત્ની સોનલને સતત સહકાર આપતાં હોવાથી તેમની હત્યા કરી નાંખી હતી. જ્યારે, સાસુ સંજુબહેનને દયા આવતાં હત્યા કરી નહોતી.


વિનોદ પત્નીના પ્રેમી, મંડપ કોન્ટ્રાક્ટર લાલાની હત્યા કરવી હતી. તેની હત્યા માટે દેશી કટ્ટુ લેવા ઈન્દોર પહોંચ્યો હતો. જોકે, હથિયાર ન મળતાં અમદાવાદ આવીને મોતને ઘાટ ઉતારવાનું નક્કી કર્યું હતું. પરંતુ આ પહેલા તે પકડાઇ ગયો હતો. ઘરનું ગુજરાન ચલાવવા પત્ની સોનલ મંડપના કપડાં સિવવાનું કામ કરતી હતી. મંડપનું કામ કરતાં લાલા સાથે સોનલને પુત્ર ગણેશ જોઈ ગયો તે પછી વિનોદને પત્નીની બેવફાઈની જાણ થઈ.