અમદાવાદઃ કોરોનાના વધતા સંક્રમણને લઈને નવરાત્રિમાં ગરબાના આયોજનને મંજૂરી ન આપવાની અમદાવાદ મેડિકલ એસોસિએશને માંગ કરી હતી. આ મામલે અમદાવાદ મેડિકલ એસોસિએશને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને પત્ર લખી નવરાત્રીમાં ગરબાને મંજૂરી ન આપવાની માંગ કરી હતી.


અમદાવાદ મેડિકલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ ડો. મોના દેસાઈએ કોરોના મહામારીમાં નવરાત્રીના આયોજનના વિચારને ફગાવ્યો હતો. એક વર્ષ માટે ગરબા સહિતના આયોજનનો મોહ છોડવા લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું હતું કે, ગરબા કોઈ જીવન જરૂરિયાત વસ્તુ નથી. લોકોને પણ એક વર્ષ ગરબાનો મોહ ન રાખવાની અપીલ કરાઇ હતી.

નોંધનીય છે કે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિના આયોજન અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે. શક્ય તેટલી છૂટછાટ આપી શકાય તેના પર ચર્ચા ચાલી રહી છે. કોરોના વચ્ચે પણ લોકો નવરાત્રિ રમવા લોકો ઉત્સુક છે ત્યારે સરકાર આ અંગે વિચારણા કરશે. ગુજરાતના ગરબા વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે પણ કોરોનાના કારણે મોટો ખતરો છે ત્યારે હાલ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ અટકે એ જરૂરી છે, તેથી સરકાર બધાં પાસાં અંગે વિચારીને નિર્ણય લેશે.