સમગ્ર ગુજરાતમાં કોરોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાના ફેલાતા સંક્રમણને અટકાવવા માટે ગુજરાતમાં પાન-મસાલા ગુટખાના દુકાનકારો-ગલ્લાવાળાએ મહત્વ નિર્ણય કર્યો છે. પાન-મસાલાના રસિયાઓ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. દુકાનો અને ગલ્લા પર પાન-મસાલા મળશે તો ખરા પણ પાર્સલ જ મળશે. હવેથી દુકાનો કે ગલ્લા પર માવો કે ફાંકી બનાવીને આપવામાં આવશે નહીં માત્ર પાર્સલ જ આપવામાં આવશે.


સમગ્ર ગુજરાતના પાન-મસાલા ગુટખાના વેચાણને લઈને ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે પાન-મસાલાની દુકાનો પર ફક્ત પાર્સલ જ મળશે. પાન કે ફાંકી બનાવી આપવામાં આવશે. કારણ કે દુકાન પર જો કોઈ વ્યક્તિ પાન કે મસાલો ખાઈને જાહેર થૂંકતા પકડાશે તો થૂંકનારને દંડ ફટકારવામાં આવશે. આ ઉપરાંત દુકાનદારને પણ દંડ ફટકારવામાં આવશે. જેને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હાલ અમદાવાદ અને સુરતમાં જાહેરમાં થૂંકવા પર 500 રૂપિયાનો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. તો પાનના ગલ્લા પાસે પણ જો કોઈ ગ્રાહક જાહેરમાં થૂંકશે તો દુકાનદારને જ 10,000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાનની દુકાન માલિકોમાં રોષ જોવા મળ્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કાર્યવાહીના કારણે પાન-મસાલા અને ગુટખાનું વેચાણ કરનાર માલિકોના ધંધાને અસર પડી રહી છે અને માત્ર 20થી 25 ટકા ધંધો થઈ રહ્યો છે. જેના કારણે વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને પગલે ગુજરાત પાન મસાલા શોપ ઓનર્સ એસોસિએશને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.