Ahmedabad: અમદાવાદમાં ફરી એકવાર પિત્ઝા સેન્ટરમાં સલાડમાંથી ઇયળ નીકળવાની ઘટના બની હતી.  મળતી જાણકારી અનુસાર, શહેરના વસ્ત્રાલમાં વિસ્તારમાં આવેલા બ્રિટિશ પિત્ઝામાં જમવા ગયેલા એક ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. બ્રિટિશ પિત્ઝામાં સલાડમાંથી ઇયળ નીકળી હતી.




આ અંગે ગ્રાહકે હોટલ સંચાલકને ફરિયાદ કરી હતી. જો કે હજુ સુધી અમદાવાદ કોર્પોરેશન આ વાતથી અજાણ છે. નોંધનીય છે કે આ પ્રથમ ઘટના નથી અગાઉ પણ અનેકવાર ભોજનમાં ઇયળ અને જીવાત નીકળવાની ઘટના બની છે. અગાઉ લા પિનોઝની અનેક બ્રાન્ચમાં પણ જીવાત નીકળી ચૂકી છે.


મંગળવારે ન્યુ રાણીપ વિસ્તારમાં આવેલ રિયલ પેપરિકામાં પણ ગ્રાહકને કડવો અનુભવ થયો હતો. આલું ટીક્કીમાં ઈયળ મળી હોવાની ઘટના બની હતી. અડધું બર્ગર ખાઈ ગયા બાદ ઈયળ દેખાતા ગ્રાહકે ફરિયાદ કરી હતી.


તાજેતરમાં જ અમદાવાદ શહેરની નામાંકિત હોટેલની ઘોર બેદરકારી સામે આવી હતી. રામદેવનગર પાસે આવેલી કોર્ટીયાર્ડ મેરિયટ હોટલની સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલ મેનેજમેન્ટ સામે ફરિયાદ કરતા હોબાળો મચાવ્યો હતો તેમણે જીવાતનો વીડિયો પણ મોબાઇલ કેમેરાથી કેપ્ચર કરીને વાયરલ કર્યો હતો.ગ્રાહકે સેન્ડવિચનો ઓર્ડર આપ્યો હતો. સેન્ડવિચમાંથી જીવાત નીકળતા ગ્રાહકે હોટલના સંચાલકને ફરિયાદ કરી હતી જો કે ફરિયાદનો સંતોષકારક જવાબ ન મળતા આખરે ગ્રાહકે ઉગ્ર રજૂઆત કરતા ઘટનાનો વીડિયો ઉતાર્યો અને તેને વાયરલ કરી દીધો. ગ્રાહકની ફરિયાદને ગંભીરતાથી ન લેવાતા રોષે ભરાયેલા ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો.


ગ્રાહકે ગ્રીલ સેન્ડવિચ ઓર્ડર કરી હતી, જેનું બિલ જીએસટી સાથે 413 આવ્યું હતું.એક સેન્ડવિચના આટલા રૂપિયા ચૂકવવા છતાં પણ ગ્રાહકને  જીવાતવાળી સેન્ડવિચ મળી. રેસ્ટોરન્ટની ઘોર બેદરકારીની ઘટનાનો પર્દાફાશ આ વીડિયો દ્રારા થયો છે.


ગયા મહિનામાં પણ બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાં જીવાત નીકળવાની ઘટના બની હતી. ગુરૂવારના ફરી શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં લા પિનોઝ પિત્ઝામા જીવજંતુઓ નીકળ્યા હોવાની ઘટના બની હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી નાના-નાના જીવડા નીકળ્યા હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.