Jatin Shah Committs Suicide: યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં આપવામાં આવેલા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી વાપરવાનો મામલો સામે આવ્યો હતો. નકલી ઘીનો મુદ્દો સામે આવતા સમગ્ર રાજ્યમાં વિવાદ ઉભો થઈ ગયો હતો. અંબાજી મંદિરમાં અપાતા મોહનથાળના પ્રસાદમાં નકલી ઘી અમદાવાદથી મોકલવામાં આવ્યું હતું. આ કેસમાં નકલી ઘી મોકલનાર નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કર્યો છે.તેમણે નારોલ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં આ પગલું ભર્યું હતું.


જતીન શાહ અંબાજી પ્રસાદ કેસમાં આરોપી છે અને તેમની પેઢીમાંથી ડુપ્લીકેટ ઘી મોકલવામાં આવ્યું હતું. અંબાજી પ્રસાદ મામલે જતીન શાહની પોલીસે ધરપકડ પણ કરી હતી. નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહે આપઘાત કેમ કર્યો તેની માહિતી સામે આવી નથી. હાલ તો પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.


અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ મોહિની કેટરર્સને અપાયો હતો. મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે, અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી કરીને નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું.  જે બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો.


જેમાં ભેળસેળીયા ઘીનું મોટું કૌભાંડ સામે આવ્યું હતું. મોહનથાળ માટે વપરાતા ઘીના તાર અમદાવાદના માધુપુરા સુધી પહોંચ્યા હતા. અંબાજી પોલીસે માધુપરામાં ગોડાઉન સીલ કર્યુ હતું. યાત્રાધામ અંબાજીમાં બનતા મોહનથાળના સેમ્પલ ફેલ થયા હતા. ઘીના સેમ્પલ ફેલ થતાં સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો હતો.