Ahmedabad News: ગઇકાલે લોકસભામાં વિપક્ષના નેતા તરીકે રાહુલ ગાંધીએ પોતાનું ભાષણ આપ્યુ હતુ, પરંતુ આ ભાષણ હવે વિવાદનું કારણ બન્યુ છે, રાહુલ ગાંધીએ હિંદુઓ અંગેના નિવેદનને લઇને હવે અમદાવાદમાં હોબાળો મચ્યો છે. રાહુલે કહ્યું હતું કે જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ હિંસા કરે છે. આ નિવેદન બાદ હવે અમદાવાદમાં બજરંગ દળ અને વીએચપી જેવા હિન્દુવાદી સંગઠનોએ મોરચો માંડ્યો છે, અને રાહુલ અને કોંગ્રેસ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ કર્યુ છે, આજે સવારથી જ અમદાવાદમા રાજીવ ગાંધી ભવનમાં હિન્દુવાદી સંગઠનોના કાર્યકર્તાઓ ઘૂસી ગયા હતા અને તોફાન અને ધમાલ કરી હતી. 


શું બોલ્યા હતા રાહુલ ગાંધી ?
ગઇકાલે લોકસભામાં રાહુલ ગાંધીએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું હતુ કે જેઓ પોતાને હિન્દુ કહે છે તેઓ 24 કલાક હિંસા, હિંસા, હિંસા ઈચ્છે છે; ધિક્કાર, ધિક્કાર, ધિક્કાર; જુઠ્ઠાણા, જુઠ્ઠાણા, જુઠ્ઠાણા કરતા રહો. તેઓ બિલકુલ હિન્દુ નથી. તમે બિલકુલ હિન્દુ નથી. હિન્દુ ધર્મમાં સ્પષ્ટ લખ્યું છે કે સત્યની સાથે ઊભા રહેવું જોઈએ. સત્યથી પીછેહઠ ના કરવી જોઈએ. અહિંસા ફેલાવવી જોઈએ.


રાહુલ ગાંધીના આ નિવેદન બાદ હવે અમદાવાદમાં હિન્દુવાદી સંગઠનો રોષે ભરાયા છે. મળતી માહિતી પ્રમાણે, આજે વહેલી સવારથી જ અમદાવાદમાં કોંગ્રેસ કાર્યાલયમાં હિન્દુ સંગઠનના આગેવાનો અને કાર્યકર્તાઓ ઘૂસી ગયા અને ધમાલ મચાવી દીધી હતી. બજરંગદળ, વીએચપીના આગેવાનો સવારે રાજીવ ગાંધી ભવનમાં ગેટ કૂદીને અંદર ઘૂસ્યા હતા, અને ત્યાં રાહુલ ગાંધીના ફોટા પર કાળો સ્પ્રે છાંટ્યો અને બેનરો ફાડ્યા હતા, રાહુલ ગાંધીના પૉસ્ટર પર કાળી સ્યાહી પણ લગાવી હતી. 


હિન્દુ સંગઠનોના રોષને લઇને હાલમાં કોંગ્રેસ કાર્યલય પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અચાનક થયેલા આ હુમલા બાદ કોંગ્રેસી નેતા રાવલે વળતો પ્રહાર કર્યો અને કહ્યું કે, નકલી હિન્દુના ઠેકેદારોએ કાયરતાપૂર્વક હુમલો કર્યો છે. જો તાકાત હોય તો દિવસે આવે, મારી પાસે છે સત્ય-અહિંસાનું હથિયાર છે. તેમને વધુમાં કહ્યું કે, પ્રદેશ નેતાઓ સાથે ચર્ચા કર્યા બાદ ફરિયાદની કાર્યવાહી કરીશું.