Ahmedabad News: રામનગરી અયોધ્યામાં 22 જાન્યુઆરીએ રામલલાનો ભવ્ય અભિષેક થવાનો છે. આ ભવ્ય અને દિવ્ય કાર્યક્રમમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત વિશેષ અતિથિઓ ભાગ લેશે. અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા અવસરના દિવસે સમગ્ર ગુજરાતમા જાહેર રજા અને સરકારી કચેરીમાં, જાહેર સ્થળોને સુશોભિત કરાય અને ઉત્સવ જેવો માહોલ ઉભો થાય તે માટે વિશ્વ હિંદુ પરિષદના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.


શું લખ્યું છે પત્રમાં


વિશ્વ હિન્દુ પરિષદ ગુજરાતના ક્ષેત્ર મંત્રી અશોક રાવલે પત્રમાં લખ્યું છે કે, હિન્દુ સમાજના 500 વર્ષોના સંઘર્ષ અને 76 યુદ્ધો પછી ભારતના આરાધ્ય દેવ ભગવાન શ્રીરામની જન્મભૂમિ પર ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દેશના ઝાઝરમાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંઘચાલત મોહન ભાગવતના વરદ હસ્તે થવાનું છે. સમગ્ર હિન્દુ સમાજ માટે આ ઐતિહાસિક દિવસ છે. માત્ર રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નહીં પણ હિન્દુ સમાજનું ખોવાયેલું સ્વાભીમાન પણ પરત મળી રહ્યું છે, સાથે રામ રાજ્યના મૂલ્યોની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે. આ હિન્દુ સમાજનો વિજય ઉત્સવ છે. તેથી વિશ્વ હિન્દુ પરિષદની લાગણી અને માંગણી છે કે અયોધ્યામાં ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા તા. 22-01-2024ના અવસરે સમગ્ર ગુજરાતમા જાહેર રજા અને સરકારી કચેરીઓ તથા જાહેર સ્થળોને સુશોભિત કરી ઉત્સવ જેવો માહોલ ઉભો કરવા વિનંતી છે.


રામલલાના મંદિરને એમ જ દિવ્ય અને ભવ્ય કહેવામાં આવી રહ્યું નથી. 70 એકરમાં ફેલાયેલા વિશાળ મંદિરમાં 44 દરવાજા હશે. તેમાંથી 18 ગેટને દરવાજાથી સજ્જ કરવામાં આવશે. તેમાંથી પણ 14 સોનાથી જડેલા હશે. મંદિરની ડિઝાઇન અને નિર્માણ સાથે સંકળાયેલા એન્જિનિયરોના જણાવ્યા અનુસાર, ગ્રાઉન્ડ ફ્લોર પરના દરવાજા લાકડાના બનેલા છે, જેને હૈદરાબાદની એક કંપનીએ તૈયાર કર્યા છે.




રામલલાના દર્શન કેવી રીતે કરી શકશો



  • રામ મંદિર સુધી પહોંચવા માટે ત્રણ રસ્તાઓ બનાવવામાં આવ્યા છે…રામજન્મભૂમિ પથ, ભક્તિ પથ અને રામ પથ. પરંતુ તમામ શ્રદ્ધાળુઓને એક જ ગેટથી પ્રવેશ મળશે. જેટલુ ભવ્ય મંદિર તૈયાર કરવામાં આવી રહ્યું છે તેટલી જ ભક્તોની સુવિધાની પણ કાળજી લેવામાં આવી રહી છે. તેમની સુવિધા માટે, શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સુગ્રીવ કિલ્લાના ગેટવે 2 ની બાજુમાં એક સુવિધા ઉભી કરવામાં આવી રહી છે.

  • નિર્માણ સાથે જોડાયેલા એક એન્જિનિયરે જણાવ્યું કે રામ મંદિર જવા માટે શ્રદ્ધાળુઓએ સુગ્રીવ કિલ્લા સુધી આવવું પડશે. ભક્તોને બિરલા ધર્મશાળાની સામે તૈયાર કરવામાં આવેલા ગેટ દ્વારા સુગ્રીવ કિલ્લામાં પ્રવેશ મળશે.

  • એન્જિનિયરના કહેવા પ્રમાણે, સનાતન ધર્મના જૂના મંદિરોમાં પ્રવેશદ્વાર થોડા અંતરે બનાવવામાં આવ્યા છે. અહીં પણ જન્મસ્થળની પરિમિતિથી 600 મીટર પહેલાં બિરલા ધર્મશાળાની સામે 35 ફૂટ ઊંચા બે ગેટવે બનાવવામાં આવ્યા છે.







  • ગેટવેથી પ્રવેશતા જ બંને તરફ ફૂટપાથ સાથે 75 ફૂટ પહોળો રોડ બનાવવામાં આવ્યો છે. યાત્રાળુઓ આ માર્ગ દ્વારા મંદિર તરફ જશે. આ માર્ગનું માળખું રેતીના પથ્થરથી બનેલું છે, જેના પર 9 કેનોપીઓ બનાવવામાં આવી છે. કેનોપી પછી, ડાબી બાજુએ 16 કાઉન્ટર સાથે બેગ સ્કેનર બનાવવામાં આવી રહ્યા છે. અહીંથી તમે સુવિધા કેન્દ્રની સામે પહોંચશો. અહીં તમે બેગેજ કાઉન્ટરની બાજુથી એ જ માર્ગ પર પાછા આવશો અને મંદિરની પાછળ પહોંચશો. અહીંથી નીકળ્યા બાદ તમે રામ મંદિરના દર્શન કરી શકશો.